જામનગરના ખીજડીયા ગામને બેસ્ટ ટુરીઝમ વિલેજનો સિલ્વર એવોર્ડ
- ભારતના 850 ગામ પૈકી વિજેતા 35માં ગૌરવવંતો સમાવેશ
જામનગર,તા.28 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર
ભારત સરકારનાં પ્રવાસન વિભાગ દ્વારા બેસ્ટ ટુરીઝમ વિલેજ એવોર્ડ આપવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે દેશનાં 28 રાજ્યનાં કુલ 850 થી વધુ ગામડાઓનાં સર્વે કરી 35 ગામડાને વિવિધ કેટેગરીમાં વિજેતા ઘોષિત કરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત જામનગર જિલ્લાનાં ખીજડીયા ગામને સિલ્વર કેટેગરીમાં બેસ્ટ ટુરીઝમ વિલેજ-2023 નો એવોર્ડ એનાયત થતા જિલ્લાનાં ગૌરવમાં વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે ખીજડીયા પક્ષી અભ્યારણ્યને કારણે ખીજડીયા ગામનો હેરીટેજ વિલેજમાં સમાવેશ કરવાની પ્રપોઝલનાં પરીણામ સ્વરૂપ ખીજડીયા ગામને સરકાર દ્વારા ટુરીઝમ વિલેજની કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યું હતું. એક સર્વે અનુસાર ગત એક વર્ષમાં ખીજડીયામાં 41 હજારથી વધુ પ્રવાસીઓનું આગમન થયું હતું જેનાં ફળ સ્વરૂપ 1500 થી વધુ સ્થાનિકોને રોજગારી મળી હતી.
ખીજડીયા પક્ષી અભ્યારણ્ય અમિતાભ બચ્ચન અભિનિત 'ખુશ્બુ ગુજરાત કી' એડ કેમ્પેઇન અંતર્ગત પણ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી ચૂક્યું છે ત્યારે બેસ્ટ ટુરીઝમ વિલેજનો એવોર્ડ મળતા ફરી એક વખત ખીજડીયાને કારણે જામનગર જિલ્લા તથા ગુજરાતનાં ગૌરવમાં વધારો થયો છે.