'છોટીકાશી'માં પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારને રક્ષાબંધનના પર્વે શિવ ભક્તો શિવજીના દર્શનાર્થે ઉમટ્યા

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
'છોટીકાશી'માં પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારને રક્ષાબંધનના પર્વે શિવ ભક્તો શિવજીના દર્શનાર્થે ઉમટ્યા 1 - image


Shravan Special Jamnagar : 'છોટી કાશી' ના ઉપનામથી પ્રચલિત તેમજ 50 થી વધુ નાના મોટા અનેક શિવાલયોની નગરી એવા (નવાનગર) જામનગર શહેરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે જોગાનું જોગ રક્ષાબંધનનું પર્વ પણ જોડાયેલું છે, ત્યારે ભગવાન શિવજીની ભક્તિનો મહિમા અપરંપાર જોવા મળ્યો હતો. આજે વહેલી સવારથીજ પ્રત્યેક શિવાલયોમાં શિવ ભક્તોના ઘોડાપુર જોવા મળ્યા હતા. જેઓના મુખેથી 'હર હર મહાદેવ'નો નાદ ગૂંજી ઉઠ્યો હતો અને ઘંટારવ સંભળાયો હતો. શહેરમાં આજે શ્રાવણ માસના ત્રીજા સોમવારે વહેલી સવારથી જ શિવ ભક્તોએ બિલિપત્ર ઉપરાંત અભિષેક અને જળાભિષેકની પૂજા અર્ચના કરી ભોળાનાથને રિઝવવા પ્રાર્થના કરી હતી.

જામનગર શહેરના પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, નગરની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર, જેના ચારેય દ્વારેથી દર્શન કરી શકાય તેવા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા જળેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, મણીકંકેશ્વર મહાદેવ મંદિર, સહિતના શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્તોએ દર્શન માટે કતાર લગાવી હતી. રુદ્રાભિષેક-જળાભિષેક સહિતની પૂજા-અર્ચના કરી હતી. તેમજ ભગવાન શિવજીના પ્રિય એવા બિલ્વપત્રને માથે ચડાવી દર્શનનો લ્હાવો લીધો હતો.

'છોટીકાશી'માં પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારને રક્ષાબંધનના પર્વે શિવ ભક્તો શિવજીના દર્શનાર્થે ઉમટ્યા 2 - image

જામનગરના પ્રત્યેક શિવાલયમાં પ્રતિદિન સાંજે નિત નવા દર્શનની ઝાંખી જોવા મળી રહી છે. જ્યારે નગરના મોટાભાગના શિવાલયોને ઝળહળતી રોશનીથી સજજ બનાવી દેવાયા છે. જેનો અનન્ય નજારો નિહાળીને શિવભક્તો ભાવવિભોર થયા છે. કેટલાક શિવ મંદિરોમાં રક્ષાબંધનના પર્વે રાખડીના શણગાર પણ જોવા મળ્યા હતા. જેના દર્શનાર્થે આવેલા ભાવિકો પોતાના મોબાઈલ ફોનમાં શિવ મંદિરની ઝાંખી અને રોશનીના ફોટા પડાવી રહેલા જોવા મળી રહ્યા હતા. મહાનગરપાલિકાનું સફાઈ તંત્ર શહેરના તમામ શિવાલયના દ્વારે કાળજી પૂર્વકની સાફ સફાઈ કરી રહ્યું છે. ઉપરાંત જામનગરના પોલીસ વિભાગ અને હોમગાર્ડના જવાનો પણ અલગ અલગ શિવ મંદિરોના દ્વારે બંદોબસ્ત જાળવી રહ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેરની મધ્યમાં આવેલા શિવ મંદિરની બહાર ટ્રાફિક પોલીસના જવાનોને પણ મૂકવામાં આવ્યા છે.


Google NewsGoogle News