જામનગરના વેપારી સાથે તેના જ પાડોશી દ્વારા રૂપિયા 2.50 લાખની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ
Jamnagar Crime News : જામનગરમાં નીલકમલ સોસાયટીમાં રહેતા એક વેપારી સાથે સંબંધ દાવે રૂપિયા 3 લાખ લીધા પછી માત્ર 50,000 રૂપિયા ચૂકવી અઢી લાખ રૂપિયાનો ખોટી સહી વાળો ચેક પધરાવી દઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નીલકમલ સોસાયટી વિસ્તારમાં રહેતા વિશાલભાઈ વિનોદરાય ખખ્ખર નામના વેપારી પાસેથી તેના પાડોશમાં જ રહેતા મુકેશ રામભાઈ રાઠોડ નામના શખ્સે ત્રણ લાખ રૂપિયા લીધા હતા, અને તેની પરત ચુકવણીના ભાગરૂપે 50 હજાર રૂપિયા રોકડા પરત આપ્યા હતા, જ્યારે બાકીની અઢી લાખની રકમનો ચેક લખી આપ્યો હતો.
જે ચેક અંગેની ખરાઈ કરતાં ઉપરોક્ત ચેક ખોટી સહી વાળો હોવાથી બેંકમાંથી પાછો ફર્યો હતો. જેથી વેપારીએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવી જામનગરના સીટી સી. ડિવિઝનનો સંપર્ક સાધ્યો હતો, અને મુકેશ રાઠોડ સામે રૂપિયા અઢી લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈપીસી કલમ 406 અને 420 મુજબ ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.