જામનગર થી સપડા ગણપતિ મંદિરે દર્શનાર્થે પદયાત્રા કરીને જનારા શ્રદ્ધાળુઓના ઘોડાપુર ઉમટયા
જામનગર,તા.19 સપ્ટેમ્બર 2023,મંગળવાર
જામનગર નજીક સપડા ગામમાં આવેલા સિદ્ધિ વિનાયક ગણપતિજીના મંદિરે પદયાત્રા કરીને દર્શનાર્થે જનારા પદયાત્રીઓના ઘોડાપુર ઉમટ્યા હતા, અને ગઈકાલે રાત્રે ચાલુ વરસાદી વાતાવરણમાં પણ અનેક પદયાત્રી શ્રદ્ધાળુઓએ જામનગર થી સપડા સુધીની પદયાત્રા કરીને ગણપતિજીના મંદિરે દર્શન કરીને માનતા પૂરી કરી હતી.
જામનગર થી 24 કિલોમીટર દૂર સપડા ગામની ટેકરી પર આવેલા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરમાં ગણેશ ચતુર્થીનાજીને પદયાત્રા કરીને દર્શન કરવાની જામનગરના અનેક શ્રદ્ધાળુઓ ટેક (માનતા) લે છે, તે અનુસાર ગઈકાલે મોડી રાત્રી થી ચાલુ વરસાદી વાતાવરણમાં પણ બહોળી સંખ્યામાં ભાઈઓ-બહેનો સહિતના ગણેશ ભક્તો પદયાત્રા કરીને દર્શનાર્થે નીકળ્યા હતા. ઉપરાંત જામનગર થી સપડા વચ્ચે સેવાભાવી સંસ્થાઓ દ્વારા રાહત કેમ્પ રાખવામાં આવ્યા હતા, અને પ્રસાદના સ્ટોલ ઊભા કરાયા હતા. જ્યાં ચા પાણી નાસ્તો સહિતની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. જેનો પણ અનેક પદયાત્રીઓએ લાભ લીધો હતો. ત્યારબાદ વહેલી સવારે મંગળા આરતીમાં સિદ્ધિ વિનાયક ગણેશજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.