જામનગર - રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીક વધુ એક રસ્તે રઝળતા ખૂંટીયાએ માનવીનો ભોગ લીધો

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
જામનગર - રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીક વધુ એક રસ્તે રઝળતા ખૂંટીયાએ માનવીનો ભોગ લીધો 1 - image


Image Source: Freepik

જામનગરના ૫૫ વર્ષના પ્રૌઢ ના સ્કૂટર ની આડે ખૂંટીયો ઉતરતાં અકસ્માત સર્જાયા પછી ઇજાગ્રસ્ત નું સારવારમાં મૃત્યુ

જામનગર, તા. 24 નવેમ્બર 2023 શુક્રવાર

જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા નજીક વધુ એક રસ્તે રઝળતા ખૂંટિયાએ માનવીનો ભોગ લીધો છે. અને જામનગરના ૫૫ વર્ષના પ્રૌઢ ખૂંટિયા ની ઢીંક ના કારણે ઇજાગ્રસ્ત બની જતાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સુભાષ શાક માર્કેટ પાછળ ખાટકી વાડ વિસ્તારમાં રહેતા અબ્બાસભાઈ જુમાભાઈ નામના ૫૫ વર્ષના પ્રૌઢ ગત તા ૨૧.૧૧.૨૦૨૩  ના સવારે ૧૧.૦૦ વાગ્યાના અરસામાં પોતાનું સ્કૂટર લઈને જામનગર-રાજકોટ ધોરી માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા.

જે દરમિયાન ફલ્લા ગામના પાટિયા પાસે એકાએક ખૂંટિયો તેમના સ્કૂટરની આડે ઉતર્યો હતો, અને તેમનું વાહન સ્લીપ થઈ ગયું હતું, અને પોતે માર્ગ પર પટકાઈ પડ્યા હતા. જેમાં તેઓને મોઢાના ભાગે તેમજ માથાના ભાગે અને પાંસળીઓમાં ઇજા થઈ હતી.

જેથી તેમને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં ગઈકાલે સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે.

આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર સબીરભાઈ અબ્બાસભાઈ વાઘેરે પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News