જામનગરમાં સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા દલિત યુવાન પર જુની અદાવતના કારણે હુમલો કરી હડધૂત કરાયો: ચાર સામે ફરિયાદ
Image Source: Freepik
જામનગર, તા. 28 જાન્યુઆરી 2024, રવિવાર
જામનગરમાં ખેતીવાડી ફાર્મ નજીક સિદ્ધાર્થ નગરમાં રહેતા એક દલિત યુવાન પર જુની અદાવત રાખીને ચાર શખ્સોએ હુમલો કરી હડધૂત કર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અપાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખેતીવાડી ફોર્મ પાસે સિદ્ધાર્થ નગર શેરી નંબર-2માં રહેતા સાગર રામજીભાઈ માંગલીયા નામના 21 વર્ષના દલિત જ્ઞાતિના યુવાન પર યાદવ નગર વિસ્તારમાં રહેતા મોહિત ઉર્ફે ઉકેડીયો કિશોરભાઈ આંબલીયા, દર્શન ભાટીયા, સુનિલ કરસનભાઈ ભાટીયા, અને મયુર કરસનભાઈ ભાટિયા સામે પોતાને માર મારી હડધુત કરાયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આજથી બે વર્ષ પહેલાં ફરિયાદીના મિત્ર સંદીપ તથા આરોપી સાથે માથાકૂટ થઈ હતી, જેનું મનદુઃખ રાખીને ચારેય આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી મૂઢ ઇજા પહોચાડી હતી, અને હડધુત કરાયો હતો. ઉપરોકત આરોપીઓ બનાવ બાદ ભાગી છૂટયા હોવાથી પોલીસે તમામ આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે.