કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં આધેડનો ગળાફાંસા દ્વારા આપઘાત
- પુત્રની બંને કિડની ખરાબ થઈ હોવાથી તેની બીમારી જોઈ નહીં શકતાં પોતે આપઘાત કર્યો
જામનગર, તા. 24 ડિસેમ્બર 2023, રવિવાર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં રહેતા એક આઘેડે પોતાના પુત્રની બંને કિડની ફેલ થઈ ગઈ હોવાથી પુત્રની બીમારી જોઈ નહીં શકતાં ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ જુનાગઢ પંથકના વતની અને હાલ કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં આવેલી અભિષેકભાઈ પટેલની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મનુભાઈ પોલાભાઈ પરમાર નામના ૫૫ વર્ષના આઘેડે ગઈકાલે પોતાના ઘેર પંખા ના હુકમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્ર કિશનભાઇ મનુભાઈ પરમારે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલિસે મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક ના પત્ની હયાત નથી, જ્યારે તેના 25 વર્ષના પુત્રની બંને કિડની ફેલ થઈ ગઈ છે. જે પુત્રની બીમારીના કારણે પોતે તણાવ માં રહેતા હતા અને જે તનાવના કારણે પોતાની મેળે આપઘાત કરી લીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.