જામનગરના અંધાશ્રમ પાસેના 1404 આવાસના ફ્લેટ ધારકોને નવા ફ્લેટ મળવાની ધારાસભ્યની હૈયા ધારણાં પછી પ્રથમ બેઠક યોજાઇ
- રી-ડેવલપમેન્ટના પ્લાન હેઠળ તમામ મુખ્ય ફ્લેટ ધારકોને તંત્ર દ્વારા 40 ટકા વધારા સાથેના નવા ફ્લેટ બનાવી આપી સાથે ભાડું પણ ચૂકવાશે
જામનગર,તા.27 સપ્ટેમ્બર 2023,બુધવાર
જામનગર મહાનગરપાલિકા દ્વારા અંધાશ્રમ પાસે આવેલા 1404 આવાસના ફ્લેટધારકોને તમામ બિલ્ડીંગો ખાલી કરી દેવાયા પછી ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા તમામ મુખ્ય ફ્લેટ ધારકોને રી-ડેવલોપમેન્ટના પ્લાન હેઠળ 40 ટકા વધારા સાથેના નવા ફ્લેટ વિના મૂલ્ય મળશે, તેમજ તેટલા સમય સુધીનું નિયત ભાડું પણ ચૂકવાશે તેવી હૈયાધારણાં અપાયા પછી આવાસ ના ફ્લેટ ધારકોની પ્રથમ બેઠક યોજાઇ હતી, અને રી-ડેવલોપમેન્ટ પ્લાન સંદર્ભે વિસ્તૃત ચર્ચા થઈ હતી, અને ફ્લેટ ધારકો પણ સહમત થયા હતા.
જામનગરમાં અંધાશ્રમ પાસેની મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલી 1404 આવાસ યોજનાના ફ્લેટ હાલ જર્જરિત બની ગયા હોવાથી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલીક અસરથી ખાલી કરી દેવાયા હતા. જે ફ્લેટ ધારકો જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીને મળવા માટે ગયા હતા. તે સમયે તેઓએ તમામ મુખ્ય ફ્લેટ ધારકોને મહાનગરપાલિકાના તંત્ર તરફથી નવા ફ્લેટ આપવા માટેની હૈયાધારણાં અપાઈ હતી.
જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર તેમજ ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિતના અન્ય પદાધિકારીઓ-અધિકારીઓના પ્રયાસથી હાલમાં 1404 આવાસ વાળી જગ્યા કે જેમાં તમામ બિલ્ડીંગ જર્જરિત થઈ ગયા હોવાથી તે તમામને તોડી પાડવામાં આવશે, અને તે જગ્યા ખુલ્લી કરાવ્યા પછી તે જ સ્થળે રી-ડેવલપમેન્ટના પ્લાન હેઠળ મહાનગરપાલિકા દ્વારા તમામ ફ્લેટ ધારકોને નવા ફ્લેટ બનાવી અપાશે, અને તે પણ 40 ટકાના વધારા સાથે ફ્લેટનું બાંધકામ કરીને વિના મૂલ્યે આપવામાં આવશે.
એટલું જ માત્ર નહીં જે મુખ્ય ફ્લેટ ધારકો, કે જેઓએ જામનગર મહાનગરપાલિકા સાથે કરાર કરીને અગાઉ ફ્લેટની ખરીદી કરી છે, તે મુખ્ય ફ્લેટ ધારકો કે જેઓને સરકારના નિયત થયેલા ભાડાના દર મુજબના ભાડાની રકમ પણ ચૂકવાશે. જ્યાં સુધી ફ્લેટનો કબજો ન મળે ત્યાં સુધી ભાડાની રકમ મહાનગરપાલિકા ચૂકવતી રહેશે, તેવી પણ ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા હૈયા ધારણા અપાઇ હતી. દરમિયાન મહાનગરપાલિકા દ્વારા આવાસના મુખ્ય મકાન માલિકને સાથે રાખીને ગઈકાલે એક બેઠક યોજવામાં આવી હતી.
જેમાં જામનગર મહાનગરપાલિકા વતી કોર્પોરેટર ગોપાલ સોરઠીયા તેમજ અરવિંદ સભાયા તેમજ જામનગર મહાનગરપાલિકા તરફથી અશોક જોશી સહિતના અધિકારીઓની ટીમ હાજર રહી હતી, અને તમામ ફ્લેટ ધારકો સાથે રિ-ડેવલપમેન્ટના પ્લાન સંદર્ભે ચર્ચા વિચારણા કરી હતી, જેમાં મોટાભાગના ફ્લેટ ધારકો સાથે સહમતિ સધાઈ હતી, અને નજીકના ભવિષ્યમાં જ રી-ડેવલપમેન્ટનો પ્લાન હાથ ધરીને તેઓને 40 ટકાના વધારા સાથે તે જ સ્થળે નવા ફ્લેટની ફાળવણી કરવામાં આવશે, તેવી પણ હૈયાધારણા અપાઇ હતી.
જેઓએ મહાનગરપાલિકામાં હજુ રકમ ભરપાઈ કરવાની બાકી છે, તેવા 80 ટકા થી વધુ ફ્લેટ ધારકો કે જેઓને બાકી રોકાતી રકમ ભરપાઈ કરવાની પણ તાકીદ કરવામાં આવી હતી. સાથે સાથે ટેક્સ વગેરેમાં સંપૂર્ણપણે વ્યાજ માફીની પણ જાહેરાત કરવામાં આવી હતી.