ખંભાળિયાના ગોઈંજ ગામે પ્રેમી પંખીડાનો ઝેરી દવા પી આપઘાત
-" જીના મરના તેરે સંગ" પગમાં સજોડે દુપટ્ટો બાંધી, સજોડે મોત મીઠું કર્યું
જામ ખંભાળિયા, તા. 16 જુલાઈ 2020 ગુરૂવાર
ખંભાળિયા તાલુકાના ગોઈંજ ગામે આજરોજ સવારે એક તળાવ નજીકથી એક યુવક તથા એક યુવતીના મૃતદેહને સાંપડ્યા હતા. આ બન્ને યુવક- યુવતીએ પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે.
ખંભાળિયાથી આશરે નવેક કિલોમીટર દૂર સલાયા માર્ગ નજીક આવેલા ગોઈંજ ગામ પાસેના 66 કેવી સબ સ્ટેશન પાસે આવેલા આ ગામના રાહતકામના પાણી ભરેલા તળાવ પાસે ઝાડ નીચે સવારે એક યુવક તથા એક યુવતીના મૃતદેહ પડયા હોવાનું સ્થાનિક રહીશોના ધ્યાને આવ્યું હતું. આથી આ બાબતે સલાયા મરીન પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી.
જેના અનુસંધાને સમયના પી.આઈ. તથા વિગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આ યુવક તથા યુવતીનેના મૃતદેહ અંગે જરૂરી પૂછપરછ અને તપાસ કરતા આ બન્ને પ્રેમી-પંખીડા હોવાનું અને સજોડે સ્યુસાઈટ નોટ લખીને આપઘાત કર્યાનું જાણવા મળ્યું હતુ.
પોલીસની તપાસમાં ગોઈંજ ગામનો અને છૂટક મજૂરી કામ કરતો યુવાન મહેન્દ્ર બાબુભાઈ વિંજોડા (ઉ. વ. આ. 23) તથા થોડે દૂર કોઠા વિસોત્રી ગામની વાડી વિસ્તારમાં રહેતી ભૂમિબેન ડાડુભાઈ માડમ (ઉ. વ. આ. 19) નામના પ્રેમી પંખીડાએ ગત રાત્રીના કોઈ પણ સમયે કપાસમાં છાંટવાની અતિ જલદ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લીધો હતો.
આટલું જ નહીં, દવા પીધા બાદ પણ બન્ને જુદા ન પડે તે માટે છોકરીનો ડાબો પગ તથા છોકરાનો જમણો પગ દુપટ્ટા વળે બાંધેલા જોવા મળ્યા હતા. આ સ્થળેથી ઝેરી દવાની અડધી બોટલ પણ મળી આવતા પોલીસે કબ્જે કરી હતી.
સલાયા મરીન પોલીસ દ્વારા આ બંને પ્રેમી પંખીડાના મૃતદેહને હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડવામાં આવેલ છે. આ સમગ્ર પ્રકરણે ખંભાળિયા તથા સલાયા પંથકમાં ભારે ચકચાર જગાવી છે.