જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બહાર ઓર્થોપેડિકની સારવાર માટે દર્દીઓની લાંબી કતારો
- માત્ર બે તબીબો દ્વારા હાડકાના દર્દીઓને તપાસવામાં આવતાં ઇજાગ્રસ્ત દર્દીઓના સારવાર મેળવવા માટે તરફડિયાં
જામનગર : જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના ટ્રોમા સેન્ટર માં ઓર્થોપેડીક વિભાગમાં તબીબી તપાસણી માટે આજે ૧૫૦થી વધુ દર્દીઓની કતાર લાગી હતી, અને માત્ર બે જુનિયર તબીબો દર્દીઓને તપાસ કરતા હોવાથી અનેક ઈજાગ્રસ્ત દર્દીઓ સારવાર માટે કણસતા રહ્યા હતા, અને દર્દીઓમાં ભારે દેકારો થયો હતો.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દર્દીઓ સારવાર મેળવવા માટે લાંબી લાંબી કતારો લગાવે છે. પ્રતિદિન દર્દીઓને સારવાર મેળવવા માટે લાંબી લાઈનમાં અને કલાકો સુધી ઉભા રહેવું પડે છે. જેમાં આજે ઓર્થોપેડિક વિભાગના તબીબો પાસે ચકાસણી કરાવવા માટે ૧૧.૦૦ વાગ્યા થી ૧૫૦ થી વધુ દર્દીઓની કતાર લાગી ગઈ હતી, અને ધીમે ધીમે કતાર તેનાથી પણ વધુ લાંબી થઇ હતી. જેઓની માત્ર બે જુનિયર તબીબો ધીમી ગતિએ તપાસણી કરતા હોવાથી દર્દીઓ નો વારો નહીં આવતાં સારવાર મેળવવા માટે અનેક દર્દીઓ તરફડીયા મારી રહ્યા હતા, અને દર્દીઓમાં ભારે દેકારો બોલી ગયો હતો.
હોસ્પિટલના તંત્ર દ્વારા આ મામલે ધ્યાનમાં લઈને વધુ તબીબોની ટીમ દ્વારા દર્દીઓની સમયસર તપાસણી થાય અને તમામને વહેલાસર સારવાર મળી રહે, તેવી વ્યવસ્થા ગોઠવવા માંગ ઉઠી છે.