Get The App

જામનગરમાં ભારે વરસાદ વચ્ચે વીજળીનો કહેર, બે વ્યક્તિના મોત, છ લોકો દાઝ્યા

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
જામનગરમાં ભારે વરસાદ વચ્ચે વીજળીનો કહેર, બે વ્યક્તિના મોત, છ લોકો દાઝ્યા 1 - image


Jamnagar Rain : જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં સોમવારે સાંજે ભારે ગાજવીજ સાથે પડેલા વરસાદમાં વીજળીનો કહેર જોવા મળ્યો હતો અને વરસાદી વીજળીમાં બે માનવ જિંદગી હોમાઈ ગઈ હતી, જ્યારે અન્ય ત્રણ બળદોના મૃત્યુ નીપજ્યા હતા. ઉપરાંત છ વ્યક્તિઓ પણ વરસાદી વીજળીના કારણે દાઝી ગઈ છે.

વીજળીના ભારે કડાકા ભડાકા સાથે વરસાદ

આ ઘટનાની વિગતો એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં સોમવારે સાંજ બાદ ભારે કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. આકાશમાં ભારે ગાજવીજ થઈ હતી અને લાલપુર તાલુકાના ગજણા ગામના ખેડૂત આદમભાઈ જુમાભાઈની વાડીમાં ખેત મજૂરી કામ કરી રહેલા પરબતભાઈ દાનાભાઈ સોલંકી નામના 45 વર્ષના યુવાન તેમજ તેમના સાળાના દીકરા રવિ પુનાભાઈ વાઘેલા નામના સાત વર્ષના બાળક કે જે બંનેના વરસાદી વીજળી પડવાના કારણે મૃત્યુ નીપજ્યા હતા. 

આ પણ વાંચો : કઈ રીતે ગુજરાતનાં રસ્તે દુબઈથી દિલ્હી જતું હતું હજારો કરોડનું કોકેન, જાણો ઈનસાઈડ સ્ટોરી

વીજળી પડવાથી પાંચ વ્યક્તિઓ દાઝી

આ ઉપરાંત લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં વરસાદી વીજળીના કારણે એક સાથે પાંચ વ્યક્તિઓ દાજી ગયા છે. આ તમામને સારવાર માટે લાલપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે. હાલ મળતા અહેવાલો મુજબ પાંચેય વ્યક્તિઓની હાલત સુધારા પર છે. અન્ય એક ઘટનાની વાત કરીએ તો લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં પણ વરસાદી વીજળી પડવાના કારણે તુલસીબેન વસાવા નામની 16 વર્ષની તરુણી પણ વરસાદી વીજળીના કારણે દાઝી ગઈ હતી, અને તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

પશુઓ પર પણ આફત બની વીજળી

વરસાદી વિજળી પશુઓ માટે પણ જોખમકારક બની છે. લાલપુર તાલુકાના ગોવાણા ગામના રમેશભાઈ ભાદરકા નામના ખેડૂતની વાડીમાં ભેંસ ઉપર વીજળી પડવાથી મોત થયું છે. જ્યારે મોટા ખડબા ગામના કિશોરભાઈ ડાંગરિયા નામના ખેડૂતની વાડીમાં પણ એક બળદનું મોત થયું છે. તે જ રીતે લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં દલપતભાઈ નાથાભાઈની વાડીમાં પણ એક બળદનું મોત થયું છે.

આ પણ વાંચો : અંકલેશ્વરમાં 5 કરોડનું ડ્રગ્સ ઝડપાયાનો મામલો, આવકાર ડ્રગ્સ કંપનીના 3 ડિરેક્ટર સહિત પાંચની ધરપકડ


Google NewsGoogle News