જામનગર પોલીસ દ્વારા ઇઝરાયેલ-હમાસ યુદ્ધ તેમજ ભારત-પાકિસ્તાનની મેચ સંદર્ભે સોશિયલ મીડિયામા પોસ્ટ મુકવા અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઇ
જામનગર,તા.14 ઓક્ટોબર 2023,શનિવાર
જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વર્તમાન ઇઝરાયલ-હમાસ યુદ્ધ સંદર્ભે, તેમજ ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ મેચ દરમિયાન કોઈ ખોટી અફવાના ફેલાય, તેને અનુલક્ષીને સોશિયલ મીડિયામાં મૂકવામાં આવતી પોસ્ટ સંબંધે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા જાહેર કરાયા અનુસાર હાલમાં ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તેને લગતા કોઈપણ ઉશ્કેરણીજનક મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા કરવા અંગે પ્રતિબંધ ફરમાયો છે, અને કોઈએ પૂર્વ મંજૂરી વગર કોઈપણ દેશને સમર્થન કાઢવા માટેની રેલીઓ પણ નહીં કાઢવા સૂચના જાહેર કરવામાં આવી છે.
સાથો સાથ ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ક્રિકેટ મેચ રમવા જઈ રહી છે, ત્યારે તે મેચના અનુસંધાને કોઈપણ ઉશ્કેરણીજનક કે કોઈ સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવા કોઈપણ જાતની અફવા સાથેના ખોટા મેસેજ સોશિયલ મીડિયામાં મોકલવા કે ફોરવર્ડ કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.
ઉપરાંત ક્રિકેટ મેચના પરિણામની ઉજવણી સમયે અન્યને નડતરરૂપ ન થાય, તે રીતે તેમજ કોઈપણ ધર્મ કે સમાજની લાગણી ન દુભાય, તે રીતે ઉજવણી કરવા માટેની પોલીસ તંત્ર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
જામનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે વોટ્સએપ, ફેશબુક, ઈંસ્ટાગ્રામ ટ્વિટર જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર અલગ અલગ ટીમ બનાવી આવી પ્રવૃત્તિ કરતા શખ્સો ઉપર સતત બાઝ નઝર રાખવામાં આવી રહી છે.
કોઈપણ વ્યક્તિ આવી ગેરકાયદેસર પ્રવૃતિઓને પ્રોત્સાહિત કરે તો તેઓની વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારના કોઈપણ મેસેજ તથા સોશિયલ મીડિયા મારફતેની પોસ્ટની જાણકારી મળે, તો જામનગર જિલ્લાના પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.