જામનગર : લાલપુરમાં ગૌચરની જમીનમાં બકરા ચરાવી રહેલા ભરવાડ પિતા-પુત્ર પર તલવાર-ધોકા વડે હુમલો, ત્રણ સામે ફરિયાદ
image : Freepik
Jamnagar Crime News : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રકકા ગામમાં રહેતા ભરવાડ પિતા પુત્ર ગૌચરની જમીનમાં બકરા ચરાવતા હતા, જેનું મન દુઃખ રાખીને સ્થાનિક પિતા-પૂત્ર સહિત ત્રણ શખ્સોએ તલવાર અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
લાલપુર તાલુકાના રકકા ગામમાં રહેતા અને માલધારીનો વ્યવસાય કરતા નોંધાભાઈ હીરાભાઈ ટારીયા નામના 50 વર્ષના ભરવાડ પ્રૌઢ પોતાના પુત્ર સુરેશ સાથે રકકા ગામની ગૌચરની જગ્યામાં બકરા ચરાવતા હતા. તે દરમિયાન ત્યાં જ રહેતા નારણભાઈ ખરા અને તેનો પુત્રની અનિલ ઉર્ફે લાલો, તેમજ મોહમ્મદભાઈ ગામેતી નામના ત્રણ શખ્સો ધસી આવ્યા હતા અને પિતા પુત્ર ઉપર તલવાર અને ધોકાવાડે હુમલો કરી દીધો હતો.
જે હુમલામાં નોંધાભાઈ ભરવાડને માથામાં તલવાર લાગી હોવાથી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી, અને આઠ ટાંકા લેવા પડ્યા છે. પોલીસે ત્રણેય આરોપીઓ સામે હુમલા અંગેની ફરિયાદ નોધી છે, અને તેઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ હાથ ધરી છે.