જામનગર મહાનગપાલિકા દ્વારા 1લી ઓક્ટોબરથી વધુ એક વખત રીબેટ યોજનાનો લાભ લેવા કરાયો અનુરોધ
જામનગર,તા.30 સપ્ટેમ્બર 2023,શનિવાર
જામનગર મહાનગરપાલિકા દ્વારા કર દરમાં ઘટાડો કરવામાં આવ્યા પછી ફરી એક વખત આગામી તારીખ 1લી ઓક્ટોબરથી 30 ઓક્ટોબર સુધી રિબેટ યોજના અમલમાં લાવવામાં આવનાર છે. લોકોએ આ યોજના નો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ 10 જુલાઈ થી 23 ઓગસ્ટ 2023 સુધી રિબેટ યોજના અમલમાં મૂકી હતી. જેનો બહોળા પ્રમાણમાં લોકોએ લાભ લીધો હતો. આ પછી મળેલી સામાન્ય સભામાં કર દરમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જેનો લાભ લોકોને મળી રહે તે હેતુ થી આગામી તા.1/10/23 થી 30/10/23 સુધી ફરી વખત રીબેટ યોજના અમલમાં લાવવામાં આવી રહી છે. જયારે આગાવની યોજનામાં એડવાન્સ. વેરો ભરપાઈ કરનાર આસામીને ડીફ્રરન્સના પૈસાનું વળતર આપવામાં આવશે.
યોજનામાં સામાન્ય કરદાતાને 10 ટકા, સિનિયર સિટીઝન, શારીરિક ખોટ.ધરાવતી વ્યક્તિ, બી.પી.એલ કાર્ડ ધારક વિધવાઓને 15 ટકા, કન્યા છાત્રાલય, માજી સૈનિક, સ્વાતંત્ર સેનાની, શહીદના વિધવા, અપંગ આશ્રમ, અનાથ આશ્રમ-વૃધ્ધાશ્રમને 25 ટકા રિબેટ આપવામાં આવશે.
સતત ત્રણ વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને વધુ બે ટકા રીબેટ આપવામાં આવશે. ઓનલાઇન ટેક્સ ભરનારને બે ટકા રીબેટ આપવામાં આવશે. ટેકસ ભરપાઈ કરવા માટે મહાનગર પાલિકાના કચેરીના મુખ્ય ટેક્ષ કલેક્શન સેન્ટર, ત્રણેય સિવિક સેન્ટર( શરૂ સેક્શન, ગુલબ નગર, રણજીત નગર ), એચ.ડી.એફ.સી, નવાનગર, આઇ.ડી.બી.આઇ, કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓ, મોબાઇલ ટેક્ષ કલેક્શન વાન અથવા મહાનગપાલિકાની વેબ સાઈટ ઉપર વેરો ભરપાઈ કરી શકાશે તેમ મહાનગર પાલિકાની યાદીમાં જણાવાયું છે.