જામનગર : કાલાવડના શીશાંગ ગામ પાસે અજાણ્યા વાહનની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મૃત્યુ
જામનગર,તા.11 માર્ચ 2024,સોમવાર
જામનગર- કાલાવડ ધોરીમાર્ગ પરથી શિશાંગ ગામના પાટિયા પાસે કોઈ અજાણ્યા વાહનના ચાલકે શીશાંગ ગામના એક બાઈક ચાલક યુવાનને ઠોકરે ચડાવતાં ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું છે. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ તપાસ ચલાવે છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના શીશાંગ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ધર્મેન્દ્રસિંહ નાગભા જાડેજા નામના 50 વર્ષના ખેડૂતના પુત્ર દિવ્યરાજસિંહ જાડેજા (ઉંમર વર્ષ 28), કે જે ગઈકાલે મોડી રાતે દોઢેક વાગ્યાના અરસામાં પોતાનું મોટર સાયકલ લઈને મોટા વડાળા ગામેથી શીશાંગ ગામે પોતાના ઘર તરફ આવી રહ્યા હતા.
જે દરમિયાન કોઈ અજાણ્યા વાહનના ચાલકે શીશાંગ ગામના પાટીયા પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક ચાલક દિવ્યરાજસિંહ જાડેજાને હેમરેજ સહિતની ગંભીર ઇજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, જ્યારે અજાણ્યા વાહન ચાલકની શોધ ખોળ હાથ ધરી છે.