જામનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા જય અંબે મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે 11,000 મોદકનો પ્રસાદ ધરાવાયો
જામનગર,તા.25 સપ્ટેમ્બર 2023,સોમવાર
જામનગરના કૃષ્ણનગર શેરી નંબર-4 માં મકવાણા સોસાયટી આઝાદ ચોક વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા સતત 20માં વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, અને ભગવાન ગણેશજીને 11000 મોદકનો પ્રસાદ ધરવામાં આવ્યો છે. રાત્રિના મહા આરતી પછી પ્રસાદનું વિતરણ શરૂ કરાશે.
જામનગરમાં કૃષ્ણનગર શેરી નંબર 4 માં મકવાણા સોસાયટી આઝાદ ચોક વિસ્તારના 300 થી વધુ રહેવાસીઓ, કે જેમાં 150 થી વધુ બહેનો અને બાળકો પણ જોડાયેલા છે, તે તમામ દ્વારા એકત્ર થઈને ગણપતિજીના મહાપ્રસાદ મોદક તૈયાર કરવામાં આવ્યા હતા.
જેના માટે 250 કિલો ભઇડકું મિશ્રિત કરાયું હતું, જેમાં 60 કિલો ઘી, 12 તેલના ડબ્બા, 40 કિલો ડ્રાયફ્રુટ અને મિનરલ વોટર વગેરેનું મિશ્રણ તૈયાર કરીને ગઈકાલે રાત્રેથી લાડુ બનાવવાનું શરૂ કરાયું હતું, અને આજે સવાર સુધીમાં તમામ 11000 લાડુ બનાવી લેવાયા પછી ગણપતિજીને મહાપ્રસાદ તરીકે ધરવામાં આવ્યા છે, અને સાંજે મહા આરતી કર્યા પછી તેનું સમગ્ર ગણેશ ભક્તોમાં પ્રસાદ વિતરણ કરવામાં આવશે. સતત 20માં વર્ષે આ પરંપરા જાળવી રાખવામાં આવી છે.