જામનગરના કલ્યાણપુરના ગામમાં બીમાર પત્નીથી કંટાળેલા પતિએ કરી પત્નીની હત્યા, પતિએ પણ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
જામનગરના કલ્યાણપુરના ગામમાં બીમાર પત્નીથી કંટાળેલા પતિએ કરી પત્નીની હત્યા, પતિએ પણ ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા 1 - image

image : Freepik

Murder Case Jamnagar : દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખોબા જેવડા ભોગાત ગામમાં રહેતા એક સોની પરિવારમાં ભારે કરુણાંતિકા સર્જાઇ છે, અને પતિએ પોતાની બીમાર પત્નીનું કાસળ કાઢી નાખ્યા પછી તેના ત્રણ સંતાનો મૃત માતાને જોઈ જાય તે પહેલાં દર્શનાર્થે મોકલી દીધા પછી પોતે પણ ગળાફાંસો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી. પતિ પત્ની બંનેના મૃત્યુના બનાવને લઈને ત્રણેય બાળકો નોંધારા બન્યા છે, જે બનાવને લઈને કલ્યાણપુરનો પોલીસ કાફલો દોડતો થયો હતો, અને સમગ્ર પંથકમાં ભારે આરેરાટી ફેલાઈ છે.

આ કરુણા જનક બનાવના કિસ્સાની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં રહેતા શૈલેષભાઈ નાથાભાઈ ઘઘડા નામના 40 વર્ષના સોની યુવાને ગઈ રાત્રિ દરમિયાન પોતાની પત્ની જશુબેન કે જેને માથાની બીમારી હોવાથી જે બીમારી થી પોતે કંટાળી ગયો હતો, અને પત્ની પર રાત્રિના સમયે હિચકારો હુમલો કરી દીધો હતો, અને સૂઈ ગયો હતો.

દરમિયાન વહેલી સવારે પત્નીને ઉઠાડતાં ઉઠી ન હતી, અને બનાવ હત્યામાં પલટાયો હતો. દરમિયાન વહેલી સવારે શૈલેષના ત્રણ સંતાનો જેમાં એક પુત્ર અને બે પુત્રી કે જે ત્રણેયને ઉઠાડીને વહેલી સવારે મંદિરે દર્શન કરવા માટે મોકલી આપ્યા હતા. ત્યારબાદ પોતે પણ ઘરમાં ગળાફાંસો ખાઈ લઇ આત્મહત્યા કરી લીધી હતી.  ત્રણેય સંતાનો દર્શન કરીને પરત ફરતાં સમગ્ર મામલાની જાણ થવાથી ત્રણેય બાળકોએ હૈયાફાટ રુદન કર્યું હતું, અને આડોશી પાડોશીઓ એકત્ર થઈ ગયા હતા.

ત્યારબાદ ઘટનાની જાણ થતાં કલ્યાણપુરના મહિલા પીએસઆઇ સહિતની પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. મૃતક પતિ સામે પોલીસે હત્યા અંગેનો અપરાધ નોંધવા માટે કાર્યવાહી હાથ ધરી છે. પતિ અને પત્ની બંનેના મૃત્યુને લઈને તેના ત્રણ માસુમ સંતાનો નોંધારા બન્યા છે, અને બંને એકી સાથે માતા-પિતા બંનેનું છાત્ર ગુમાવ્યું છે. જેથી નાના એવા ભોગાત ગામમાં ભારે કરુંણાંતિકા છવાઈ છે.


Google NewsGoogle News