જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ મળતા આરોગ્ય તંત્રની દોડધામ, હાઈ લેવલ મીટિંગનો ધમધમાટ

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ મળતા આરોગ્ય તંત્રની દોડધામ, હાઈ લેવલ મીટિંગનો ધમધમાટ 1 - image


Chandipura Virus : જામનગર જિલ્લાના ધ્રોળમાં તેમજ જામજોધપુરમાં પણ ચાંદીપુરાના વાયરસના શંકાસ્પદ બે કેસ સામે આવ્યા છે. જે બન્ને બાળકો ચાંદીપુરા વાયરસ થી સંક્રમીત હોવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને આરોગ્ય ટીમ દ્વારા બંને ગ્રામ્ય પંથકમાં આરોગ્ય વિષયક પગલાં લેવા માટેની દોડધામ શરૂ કરાઈ છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સતત માથું ઊંચકી રહ્યો છે, અને સામાન્ય રીતે 14 વર્ષની ઉંમર સુધીના બાળકો ચાંદીપુરાના વાયરસથી સંક્રમીત થઈ રહ્યા છે. જે મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ પંથકનો એક બાળક ચાંદીપુરાના વાયરસનો સંક્રમિત શંકાસ્પદ કેસ ગણવામાં આવ્યો છે, અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

તે જ રીતે જામજોધપુર ગ્રામ્ય પંથકનો પણ એક બાળક ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ સંંક્રમિત કેસ ગણીને તેને પણ સારવાર આપવામાં આવી રહી છે. જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા બંને સ્થળોએ આરોગ્ય વિભાગની ટુકડીને દોડતી કરવામાં આવી છે, અને સંક્રમિત બાળક અને તેના પરિવાર સહિતના પરિવારજનોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે.

જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ મળતા આરોગ્ય તંત્રની દોડધામ, હાઈ લેવલ મીટિંગનો ધમધમાટ 2 - image

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ-ધારાસભ્ય દિવ્યેશભાઈ દ્વારા જીજી હોસ્પિટલમાં બેઠક યોજાઈ

ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી રાઘવજી પટેલ તેમજ જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ આ સંબંધે ચિંતા વ્યક્ત કરી હતી, અને આ રોગચાળાને અટકાવવાના જરૂરી પગલાં ભરવા આજે સવારે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જી.જી.હોસ્પિટલના ડીન ડોક્ટર નંદીની દેસાઈ, હોસ્પિટલના સુપ્રી. ડો.તિવારી તથા અન્ય તબીબી અધિકારીઓની સાથે બેઠકનો દોર યોજયો હતો, અને જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં દર્દીઓની જરૂરી સારવાર અર્થે અલગ વોર્ડની વ્યવસ્થા કરવા, તેમજ જરૂરી દવા તથા તેને લગતો જથ્થો પર્યાપ્ત માત્રામાં તૈયાર રાખવા સંબંધે ચર્ચા કરી હતી. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની ટીમ પણ આ સંબંધે દોડધામ કરી રહી છે.

જામનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ મળતા આરોગ્ય તંત્રની દોડધામ, હાઈ લેવલ મીટિંગનો ધમધમાટ 3 - image

જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં ધારાસભ્ય-કમિશનરની બેઠક યોજાઈ

જામનગર શહેરમાં ચાંદીપુરા વાયરસ સામે તકેદારી રાખવા માટે ધારાસભ્ય અને કમિશનર વગેરેની તાકીદની બેઠક યોજાઈ છે, અને જરૂરી આરોગ્ય વિષયક પગલાં ભરવા મહાનગરપાલિકાની કચેરીમાં માટે સમીક્ષા બેઠક મળી હતી.જેમાં મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદી ઉપરાંત ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીલેશ કગથરા, શાસક જૂથના નેતા આશિષ જોશી, સિનિયર કોર્પોરેટર કેશુભાઈ માડમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા, અને જામનગરના શહેરી વિસ્તારમાં પણ ચાંદીપુરાના વાયરસ સંબંધી જરૂરી આરોગ્ય વિષયક પગલાં ભરવા માટેની તાકીદની ચર્ચા કરી હતી.


Google NewsGoogle News