જામનગર શહેર અને જિલ્લામાં ભાદરવા માસના પ્રારંભ સાથે જ હવામાન પલટાયું: સાર્વત્રિક અડધાથી બે ઇંચ વરસાદ
જામનગર શહેરમાં મોડી રાત્રે તેમ જ આજે વહેલી સવારે વરસાદ પડ્યો: જામજોધપુરના ધોધમાર બે ઇંચ જ્યારે કાલાવડમાં દોઢ ઇંચ વરસાદ
જામનગર,તા.18 સપ્ટેમ્બર 2023,સોમવાર
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રાત્રે હવામાન પલટાયું હતું, અને મોસમેં મીજાજ બદલ્યો હતો. છેલ્લા ત્રણેક દિવસના ઉકળાટ ભર્યા વાતાવરણ પછી સમગ્ર જિલ્લામાં અડધા થી બેચ વરસાદ પડી ગયો છે, અને હવામાન ખાતા દ્વારા હજુ પણ વધુ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. અને સાથો સાથ પ્રતિ કલાકના 30 થી 40 કિ.મી. ની ઝડપે પવન ફૂંકવાની શક્યતાઓ દર્શાવાઇ છે. જામનગર શહેરમાં ગઈકાલે રાત્રિના 12 વાગ્યાના અરસામાં એકાએક વરસાદ તુટી પડ્યો હતો, અને દોડધામ થઈ હતી.
પ્રદર્શન મેદાનમાં મેળાની મુદ્દત લંબાવાઈ હતી, અને રવિવારનો અંતિમ મેળો ચાલી રહ્યો હતો, ત્યારે અચાનક વરસાદ તૂટી પડતાં લોકોમાં ભારે નાસભાસ થઈ ગઈ હતી. ત્યારબાદ જામનગર શહેરમાં આજે પણ સવારે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો, અને 13 મી.મી. પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. હજુ પણ વરસાદની વાતાવરણ બનેલું છે.
જામનગર જિલ્લાના જામજોધપુરમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું, અને છેલ્લા 24 કલાક દરમિયાન 43 મી.મી.વરસાદ પડી ગયાના અહેવાળો પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત કાલાવડમાં પણ ધોધમાર દોઢ ઇંચ વરસાદ વરસી ગયો છે. લાલપુરમાં 12 મી.મી. જયારે ધ્રોળ અને જોડીયામાં આઠ મી.મી. વરસાદ પડ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સમગ્ર જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ બંધાયેલો હોવાથી વધુ વરસાદની શક્યતાઓ છે
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગણપતિ પાંડાલના સંચાલકોની તૈયારીઓમાં ભારે દોડધામ
આવતીકાલથી વિઘ્નહર્તા દેવ ગણેશજીના મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે, અને જામનગર શહેરમાં અનેક સ્થળે ગણપતિના સ્થાપન માટે પંડાલો ઉભા કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગઈકાલે રાત્રે તેમ જ આજે સવારે પડેલા વરસાદને લઈને ગણપતિની પ્રતિમાઓને સ્થાપિત કરવા માટે મંડળ ઉભા કરવામાં કવાયત કરવી પડી રહી છે. અને વોટરપ્રૂફ સામીયાણાઓ ઉભા કરવા માટેની કવાયત કરવામાં આવી રહી છે.