જામનગરમાં ગુરુદ્વારા ચોકડી પાસે મોડીરાત્રે બેકાબુ બનેલા કારચાલકે વિજ પોલને ભાંગી નાખતાં વીજ વિક્ષેપ સર્જાયો
- સ્ટ્રીટલાઇટ તેમજ ટ્રાફિક શાખાના પોલને પણ ભાંગી નાખતાં કંટ્રોલ પેનલ સહીત ને તેમજ એક બુલેટ ને નુકસાન
- વીજતંત્ર દ્વારા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં યુદ્ધના ધોરણે વિજપોલ ને બદલાવીને વીજપુરવઠો પૂન: શરૂ કરાયો
જામનગર તા,12 માર્ચ 2022
જામનગરમાં ગુરુદ્વાર ચોકડી પાસે રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં એક વીજ કારના ચાલકે પુર ઝડપે આવીને વિજ તંત્રના એક પોલને ક્ષતિગ્રસ્ત કર્યો હતો, ઉપરાંત ટ્રાફિક શાખાના પોલને તેમજ મહાનગરપાલિકાના સ્ટ્રીટલાઇટના પોલને પણ ક્ષતિગ્રસ્ત કરી દીધા હતા. જેથી ભારે નુકસાન થયું હતું. ઉપરાંત એક બુલેટ મોટરસાઇકલને પણ ઠોકરે ચડાવ્યું હતું, અને કાર ચાલક ભાગી છુટયો હતો.
વીજતંત્ર દ્વારા ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર તાત્કાલિક અસરથી ક્ષતિગ્રસ્ત વીજ પોલને દુર કરીને વીજ પ્રવાહ શરૂ કરી દીધો હતો. જે મામલે પોલીસ દ્વારા તપાસ ચલાવાઈ રહી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુરુદ્વારા ચોકડી પાસે ગઇ રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં સાત રસ્તા તરફથી પુરપાટ વેગે આવી રહેલા એક કારચાલકે સૌપ્રથમ વીજતંત્રના પોલને ટક્કર મારી દઈ પોલને નુકશાની પહોંચાડી હતી. ઉપરાંત સ્ટ્રીટ લાઈટનો પોલ ક્ષતિગ્રસ્ત થઇને માર્ગ પર લટકી રહ્યો હતો. આ અકસ્માતથી આસપાસના વિસ્તારનો વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. આ ઉપરાંત કારની ઠોકર ના કારણે ટ્રાફિક શાખાના પોલને પણ નુકસાન થયું હતું, તેમજ ઈલેક્ટ્રીક મીટર, પેનલ કંટ્રોલ બોર્ડ વગેરે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. સાથોસાથ માર્ગ પર એક બુલેટ પડેલું હતું જેને પણ ટક્કર વાગવાથી નુકશાની થઇ હતી.
જે અકસ્માત સર્જીને કારનો ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો, આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ઉપરાંત વીજતંત્રને પણ સમગ્ર મામલાની જાણ થઈ હોવાથી જામનગરના સેન્ટ્રલ ઝોન સબડિવિઝનના નાયબ ઈજનેર અજય પરમાર તેમની ટીમ સાથે તુરંત જ સ્થળ પર દોડી ગયા હતા, અને ભારે ટ્રાફિકની વચ્ચે પણ યુદ્ધના ધોરણે વીજ પોલની સમારકામની કામગીરી હાથ ધરી લેવામાં આવી હતી, અને વીજવાયરો વગેરે બદલીને તાત્કાલિક અસરથી આસપાસના વિસ્તારમાં વીજપુરવઠો પુન શરૂ કરી દેવાયો છે. તેમજ અકસ્માત સર્જનાર કારચાલક વિશે પોલીસને માહિતી આપવામાં આવી હતી. જામનગરના પોલીસ તંત્રના સીસીટીવી કેમેરાની મદદથી કારચાલક તેની શોધખોળ ચલાવી રહી છે