જામનગરમાં વાહનચોર ટોળકી ફરીથી સક્રિય બની: એક બાઈક અને રીક્ષાની ઉઠાંતરી થઈ ગયાની ફરિયાદ
image : Freepik
જામનગર,તા.01 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
જામનગર શહેરમાં વાહન ચોર ટોળકી ફરીથી સક્રિય બની છે, અને શહેરમાંથી એક મોટરસાયકલ તેમજ એક ઓટો રીક્ષાની ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરમાં ગોકુલ નગર રડાર રોડ પર રહેતા અને ફ્રુટની દુકાન ચલાવતા રાજેશભાઈ નરોતમભાઈ સિંધી ભાનુશાળી તળાવની પાળે ગેટ નંબર- 9 ની સામે આવેલી પોતાની દુકાનની બહાર પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
આ ઉપરાંત જામનગરમાં વેલનાથ પરા શેરી નંબર 22 માં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા લાલજીભાઈ પોપટભાઈ રાંદલપરા નામના 70 વર્ષના બુઝુર્ગ રીક્ષા ચાલકે પોતાના ઘર પાસે પાર્ક કરેલી જી.જે.-3 એ.યુ. 3268 નંબરની ઓટો રીક્ષા કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસમથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.