જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીના ફટાકડાના કારણે 33 સ્થળે આગ

Updated: Nov 13th, 2023


Google NewsGoogle News
જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીના ફટાકડાના કારણે 33 સ્થળે આગ 1 - image


Image Source: Freepik

આગજનીના બનાવમાં મકાન- દુકાન- ગેરેજ અને ભંગારનો વાડો તથા કચરાના ઢગલામાં આગ લાગી

બપોરે ૧૨.૦૦ વાગ્યાથી સવારે ૬.૦૦ વાગ્યા સુધીમાં તમામ સ્થળોએ ફાયરે સમયસર પહોંચી જઈ આગ બુઝાવી: કોઈ જાનહાની નહીં

જામનગર, તા. 13 નવેમ્બર 2023 સોમવાર

જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં દિવાળીના ફટાકડાના કારણે કુલ ૩૩ સ્થળે આગજનનીની ઘટના બની હતી, અને તમામ સ્થળ ઉપર ફાયર બ્રિગેડ ની ટીમે ઘટના સ્થળે પહોંચી જઈ સમયસર આગને કાબુમાં લઈ લીધી હતી, જેથી કોઈ મોટી જાનહાની થઈ નથી.

 જામનગર મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર કે.કે.બીશ્નોઈ ની રાહબર હેઠળ ફાયરના ૬૦ જેટલા જવાનોની ટીમ તહેનાત માં રાખવામાં આવી હતી, અને કુલ ૨૫ જેટલા વાહનો-ફાયર ફાઇટર વગેરે તહેનાતમાં રાખવામાં આવ્યા હતા.

 જામનગરના મેઇન ફાયર સ્ટેશન, તેમજ જનતા ફાયર સ્ટેશન, ઉપરાંત ડીકેવી કોલેજ, દરબારગઢ, ખંભાળિયા ગેઇટ અને કાલાવડનાકા બહાર ચાર સ્થળોએ ફાયર ફાઈટર ને ઊભા રાખવામાં આવ્યા હતા, અને આગ બુજાવવા માટેની સંપૂર્ણ તૈયારીઓ રાખવામાં આવી હતી. 

ગઈકાલે બપોરે ૧૨.૦૦ વાગ્યે પ્રદર્શન મેદાનમાં જુના લાકડાના ઢગલામાં સૌપ્રથમ આગ લાગી હતી. ત્યારથી ફાયર નું તંત્ર દોડતું થયું હતું, અને વહેલી સવારે છ વાગ્યા સુધી આગ અંગેના સંદેશા મળ્યા હતા.જેમાં એક ગેરેજ, એક દુકાન,રહેણાક મકાન, ભંગારનો વાડો અને મોટા ભાગે કચરા ના ઢગલા વગેરેમાં આગ લાગ્યા ના સંદેશા મળ્યા હતા, અને તમામ સ્થળો પર ફાયરની ટુકડીઓ દોડી કઈ સમયસર આગને કાબુમાં લઈ લેતાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી.


Google NewsGoogle News