જામનગરના દિવ્યાંગ ખેડૂતને વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ જતાં પોતાની ખેતીની જમીન ગુમાવવાની નોબત આવી : પોલીસ ફરિયાદ

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
જામનગરના દિવ્યાંગ ખેડૂતને વ્યાજખોરની ચુંગાલમાં ફસાઈ જતાં પોતાની ખેતીની જમીન ગુમાવવાની નોબત આવી : પોલીસ ફરિયાદ 1 - image

image : Freepik

Jamnagar News : જામનગર તાલુકાના ઘુતારપર ગામમાં રહેતા એક દિવ્યાંગ ખેડૂત કે જેને પૈસાની જરૂરિયાત પડતાં એક વ્યાજખોર પાસેથી 25,50,000 રૂપિયા લીધા બાદ તેણે ખેડૂતની ખેતીની જમીન પોતાના નામે કરાવી લીધી હતી. જે અન્યને બારોબાર વેંચી નાખી હોવાનું સામે આવતાં આખરે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના ધૂતારપર ગામમાં રહેતા અને ખેતી કામ કરતા કાંતિભાઈ મોહનભાઈ સંઘાણી નામના 47 વર્ષના દિવ્યાંગ ખેડૂત કે જેઓ ને પોતાના ખેતી કામના વ્યવસાયમાં પૈસાની જરૂરિયાત પડતાં અન્ય લોકો પાસેથી છૂટક છૂટક પૈસા લીધા હતા, જે તમામ રકમનું ચુકવણું કરવા માટે તેઓએ મૂળ જામકંડોરણાના વતની અને હાલ રાજકોટ રહેતા ઘનશ્યામભાઈ ઉર્ફે ધનાભાઈ કેશવજી પટેલ પાસેથી 25 લાખ 50 હજાર રૂપિયા માસિક ત્રણ ટકાના વ્યાજના દરે લીધા હતા. જેની અવેજીમાં પોતાની ખેતીની જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો, અને જ્યારે પૈસા પરત ચુકવી દેશે. ત્યારે જમીન ફરી પોતાના નામે ટ્રાન્સફર કરાવી લેશે તેમ નક્કી કર્યું હતું. દરમિયાન સાત મહિના સુધી વ્યાજની રકમ ચૂકવ્યા બાદ પોતે મૂળ રકમ કે વ્યાજ ચૂકવી નહીં શકતા ઉપરોક્ત વ્યાજખોરે દિવ્યાંગ ખેડૂતની ખેતીની જમીન કે જેના બારોબાર વેચાણ દસ્તાવેજ કરીને રાજકોટની અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી વેચી નાખી હતી.

જેની ખેડૂતને જાણકારી મળતાં તેણે આખરે આ મામલાને પોલીસમાં લઈ જવાનું નક્કી કર્યું હતું, અને જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસમાં ઘનશ્યામભાઈ પટેલ સામે વ્યાજ વટાવની પ્રવૃતિ કરવા અંગે તેમજ પોતાની જમીન પચાવી પાડવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News