કાલાવડના ભગત ખીજડીયા ગામના ખેડૂતને પત્ની સાથે ઝઘડો થયા પછી મનમાં લાગી આવતાં ઝેરી દવા પી લઈ આપઘાત
જામનગર,તા.26 સપ્ટેમ્બર 2023,મંગળવાર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભગત ખીજડીયા ગામમાં રહેતા એક ખેડૂતે પોતાની પત્ની સાથે લોટ દળાવવા બાબતે ઝઘડો થતાં મનમાં લાગી આવવાથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ભગત ખીજડીયા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા અશોકભાઈ પરસોત્તમભાઈ ફળદુ નામના પંચાવન વર્ષના પટેલ ખેડૂતે ગઈકાલે પોતાના ઘેર ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કરતાં તેઓને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતક ના નાના ભાઈ ચંદુભાઈ પરસોત્તમભાઈ ફળદુ એ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તપાસ શરૂ કરી છે.
મૃતકને પોતાની પત્ની સાથે લોટ દળાવવા બાબતે બોલા ચાલી થઈ હતી, જેનું ભોગ બનનાર અશોકભાઈ ને મનમાં લાગી આવ્યું હતું, જેના કારણે ઝેર પી લઈ મોતને મીઠું કરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.