જામનગરમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિત્તે વિશેષ કામગીરી કરનાર PGVCLના કર્મચારીઓને સન્માનિત કરાયા
જામનગર,તા.04 મે 2023,ગુરૂવાર
જામનગર શહેરમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે રાજ્ય કક્ષાના કાર્યક્રમ દરમિયાન પીજીવીસીએલના અધિકારી- કર્મચારીઓ દ્વારા રાત દિવસના ઉજાગરા કરીને વીજ પુરવઠો ખોરવાય નહીં, તેની તકેદારી રાખી સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા બદલ વીજ તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ સ્ટાફને સિરપાવ અપાયો છે, અને વિશેષ સન્માનપત્ર આપી નવાજવામાં આવ્યા હતા.
જામનગરમાં પીજીવીસીએલની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે સમગ્ર સ્ટાફ સાથેની મીટીંગનુ ગઈકાલ તારીખ 03-05-2023 ના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત ગૌરવ દિન નિમિતે જે કર્મચારીઓએ વીજ પુરવઠો અવિરત જાળવી રાખવામાં વિશેષ ફરજ બજાવેલી હતી, તેમને પ્રશસ્તિ પત્ર આપી, તેઓની કામગીરી બિરદાવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રશસ્તિપત્ર જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એલ.કે.પરમાર હસ્તક તથા શહેર કાર્યપાલક ઇજનેર તથા નાયબ ઇજનેર અજય પરમારની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યા હતા, અને વિશેષ ફરજ-કામગીરી અને સલામત કાર્યપદ્ધતિથી સમગ્ર કાર્યક્રમ વિના વીજ વીક્ષેપે સફળ બનાવવા છેલ્લા કેટલાક દિવસોથી રાત-દિવસ કામ કરનાર સફળ કાર્યક્રમના પરદા પાછળના આ કર્મચારીઓની વિષેશ નોંધ લેવામા આવી હતી.