જામનગરમાં ઇદ-એ-મિલાદ પર્વની ઉત્સાહ ભેર ઉજવણી
- સુન્ની મુસ્લિમ જમાત દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું: મદદ ફાઉન્ડેશન દ્વારા દરબારગઢમાં નાતનો કાર્યક્રમ યોજાયો
જામનગર,તા.29 સપ્ટેમ્બર 2023,શુક્રવાર
દુનિયાને શાંતિ, અમન અને ભાઇચારાનો સંદર આપનારા ઇસ્લામ ધર્મના અંતિમ પયગમ્બર મહોમ્મદ (સ.અ.વ.)ના જન્મદિવસની સમગ્ર હાલાભરમાં આન-બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેરની મોટાભાગની મસ્જીદોમાં આખી રાત નાત શરીફ, તકરીર સહિતના કાર્યક્રમો યોજવામાં આવેલ જયારે સુન્ની મુસ્લિમ જમાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઝુલુસ કાઢવામાં આવ્યું હતું.
શાયરપીર ચોકથી શરૂ થયેલા ઝુલુસમાં શણગારેલા વાહનો સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. સરકાર કી આમદ મરહબા દિલદાર કી આમદ મરહબા ગગનભેદી નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જુલુસના આ રૂટ પર ઠેર-ઠેર સરબત, ન્યાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું અને દરબારગઢ ખાતે જુલુસનું સમાપન થયું હતું. દરબારગઢ ખાતે મદદ ફાઉન્ડેશન દ્વારા નાતનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.