કાલાવડ ધોરાજી રોડ પર ઇકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં ઇકો કાર ચાલકનું અંતરિયાળ મૃત્યુ: અન્ય પાંચને ઈજા

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
કાલાવડ ધોરાજી રોડ પર ઇકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં ઇકો કાર ચાલકનું અંતરિયાળ મૃત્યુ: અન્ય પાંચને ઈજા 1 - image


Image Source: Freepik

જામનગર જિલ્લાના કાલાવડ ધોરાજી રોડ પર મુળીલા નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં ઇકો કારના ચાલક જામનગરના યુવાનનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું, જયારે અંદર બેઠેલા બે મહિલાઓ સહિતના અન્ય પાંચ વ્યક્તિને નાની મોટી ઈજા થઈ છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ થી જુનાગઢ તરફ જવાના રોડ પર મૂળીલા ગામના પાટીયા પાસે પૂર ઝડપે આવી રહેલા જીજે-૩ બી.વી. 0737 નંબરના ટ્રકના ચાલકે સામેથી આવી રહેલી જી જે 27 સીએફ 1764 નંબરની ઇકો કારને ઠોકરે ચડાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં ઇકો કારના ચાલક જામનગરના વતની મોહમ્મદભાઈ ઇબ્રાહીમભાઇ બકરીવાલા ને ગંભીર ઇજા થવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત ઈકો કારમાં બેઠેલા સિકંદર ભાઈ હુસેનભાઇ મકવાણા સહિત અન્ય પાંચ વ્યક્તિઓને નાની-મોટી ઇજા થઈ હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ અકસ્માતના બનાવ અંગે સિકંદર ભાઈ મકવાણાએ ટ્રક નંબર ના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે ટ્રક કબજે કરી લઇ વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News