જામજોધપુર-લાલપુરના ખખડધજ રસ્તાઓ મુદ્દે પ્રાંત કચેરીને તાળાબંધી વેળાએ ઘર્ષણ , આપના ધારાસભ્ય સહિત 20 કાર્યકરોની અટકાયત
- આમઆદમી પાર્ટીના ધારાસભ્ય સહિત 20 કાર્યકરોની અટકાયત : ગ્રાન્ટમાં ભેદભાવનો ધારાસભ્યનો આક્ષેપ : મોટી સંખ્યામાં આગેવાનો તથા ખેડૂતો જોડાયા
જામનગર,તા.23 સપ્ટેમ્બર 2023,શનિવાર
જામજોધપુર–લાલપુર પંથકમાં બિસ્માર રસ્તાઓ મુદ્દે ધારાસભ્ય હેમંત ખવાની આગેવાનીમાં જનઆક્રોશ રેલી યોજી લાલપુર પ્રાંત કચેરીએ તાળાબંધીના પ્રયાસ વેળાએ ઘર્ષણ થયું હતું. તે દરમિયાન પોલીસે આમઆદમી પાર્ટીના વીસ કાર્યકરોની અટકાયત પણ કરી હતી.
જામજોધપુર અને લાલપુર પંથકમાં છેલ્લા કેટલાંક સમયથી રોડ, રસ્તાઓ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાયા છે. જયારે છેલ્લા પાંચ વર્ષમાં કોઈ નવા રોડ, રસ્તા બન્યા નથી. લગભગ 152 કિલોમીટરના રોડ, રસ્તાઓની બીસ્માર હાલતના કારણે આવાગમન દુષ્કર બન્યું છે. આથી આમઆદમી પાર્ટીના સ્થાનિક ધારાસભ્યો હેમતભાઈ ખવા દ્વારા આક્રમક વલણ અખત્યાર કરાતાં શુક્રવારે જનાક્રોશ રેલી યોજી તાલુકાના આગેવાનો અને કાર્યકરોને સાથે રાખી પ્રાંત કચેરીએ તાળાબંધીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે વેળાએ ક્ષણિક ઘર્ષણ પણ સર્જાયું હતું. દરમ્યાન પોલીસે આમઆદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા સહિત 20 જેટલા કાર્યકરોની અટક કરી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામજોધપુર, લાલપુર પંથકમાં રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં ભેદભાવ થતો હોવાનો આક્ષેપ પણ ધારાસભ્યએ કર્યો હતો.