જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની હાજરીમાં જુના રેલવે સ્ટેશન નજીકનું દબાણ દૂર કરાવાયું
જામનગર,તા.7 ઓક્ટોબર 2023,શનિવાર
જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાસે ત્રણ બત્તી તરફ જવાના માર્ગે જાહેર માર્ગ પર કેટલાક ઝુપડાવાળાઓ દ્વારા દબાણ કરી ન્યુસન્સ કરવામાં આવતું હોવાની માહિતીના આધારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જાતે જ સ્થળ પર હાજર રહ્યા પછી ડીમોલિશન શરૂ કરાવ્યું હતું, અને સમગ્ર માર્ગને ખુલ્લો કરાવી દીધો છે.
જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા દ્વારા આજે વહેલી સવારથી જ જુના રેલ્વે સ્ટેશનથી ત્રણબત્તી તરફ જવાનો માર્ગ ખુલ્લો કરાવવા માટે જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની મદદ લીધી હતી, અને દબાણ હટાવ અધિકારી યુવરાજસિંહ ઝાલા તથા સિક્યુરિટી અધિકારી સુનિલ ભાનુશાળીની આગેવાની હેઠળની ટુકડીની મદદ લઇ રેલવે સ્ટેશનની જમીનની અડીને જાહેર માર્ગ પર ખડકી દેવામાં આવેલા ઝુપડા સહિત દબાણોને દૂર કરી લેવાયા હતા.
જેસીબીની મદદથી સમગ્ર રસ્તો સાફ કરીને લોકોની અવાર-જવર માટે ખુલ્લો કરી દેવાયો હતો. આથી ભારે દોડધામ થઈ હતી. ઝુપડાવાળાઓ દ્વારા પોતાનો માલ સામાન લઈને નાસભાગ કરી હતી.
આ સ્થળે રેલવેની પણ કેટલીક જગ્યા આવેલી છે, જે રેલવેની માલિકીની જગ્યામાં પણ દબાણ થયું હોવાથી રેલ્વે તંત્રને જાણ કરાઇ છે, અને રેલ્વે પોલીસને બોલાવીને તે સ્થળ પણ ખાલી કરાવવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે.