જામનગર નજીક દરેડ વિસ્તારમાં બ્રાસની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થયા પછી દાઝી ગયેલા શ્રમિક યુવાનનું મૃત્યુ
image: Freepik
જામનગર,તા.29 સપ્ટેમ્બર 2023,શુક્રવાર
જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક બ્રાસની ભઠ્ઠીમાં આજથી 12 દિવસ પહેલાં એકાએક બ્લાસ્ટ થવાના કારણે પિત્તળનો રસ ઉડવાથી એક પરપ્રાંતિય શ્રમિક ગંભીર સ્વરૂપે દાજી ગયો હતો તેનું સારવાર દરમિયાન મૃત્યુ છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાનો વતની અજય કુમાર ફુલસિંગ રામ અવતાર કશ્યપ નામનો 21 વર્ષનો પરપ્રાંતીય શ્રમિક, કે જે જામનગર નજીક ડ્રેડકવિસ્તારમાં આવેલા દ્વારકાધીશ એકઝ્યુશન નામના કારખાનાની ભઠ્ઠીમાં કામ કરતો હતો, એ 17-9-2023 ના દિવસે બ્રાસની ભઠ્ઠીમાં બ્રાસને ઓગાળવાનું કામ કરી રહ્યો હતો, જે દરમિયાન એકાએક બ્લાસ્ટ થઈ જતા ભઠ્ઠીમાંથી પિત્તળનો રસ તેના પર ઉડ્યો હતો, અને ગંભીર સ્વરૂપે દાઝી ગયો હતો.
તેથી તેને સૌ પ્રથમ જામનગરની જી.જી. હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને પોતાના વતન ઉત્તર પ્રદેશમાં લઈ જવાયો હતો, અને બરેલી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકની માતા સાવિત્રીદેવી ફુલસિંગ કશ્યપે પોલીસને જાણ કરતાં પંચકોષી બી.પોલીસ સ્ટેશન આગળની તપાસ ચલાવી રહી છે.