જામનગર નજીક દરેડમાં ગાયએ ઢીંક મારતાં ઇજાગ્રસ્ત બનેલા ગાયના માલિકનું સારવાર દરમિયાન અપમૃત્યુ
image : Freepik
જામનગર,તા.01 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
જામનગર નજીક દરેડમાં સરદાર નગર સોસાયટીમાં રહેતા એક ભરવાડ યુવાનને તેની ગાયએ વાડામાં ઢીંક મારી દેતાં ગંભીર ઇજા થયા પછી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડમાં સરદાર નગર સોસાયટીમાં રહેતા રામાભાઇ લાખાભાઈ હુણ નામના 35 વર્ષના ભરવાડ યુવાનને ગત 28મી તારીખે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં પોતાના વાડામાં પોતાની એક ગાયએ ઢીંક મારી દેતાં ઇજા થઈ હતી, અને બેભાન બન્યા પછી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જયાં ગઈકાલે સાંજે તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પરિવારના પાંચાભાઇ રામાભાઇ ભરવાડએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝનના એએસઆઈ પી.બી.ગોજીયાએ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.