જામનગરમાં સાત વર્ષ પહેલાની હત્યાના કેસમા આરોપીને આજીવન કેદની સજાનો અદાલતનો આદેશ
Image Source: Freepik
જામનગર, તા. 29 ઓક્ટોબર 2023, રવિવાર
જામનગરના દિ. પ્લોટ વિસ્તારમાં સાત વર્ષ પહેલા એક યુવાનની છરીનો ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. તે ગુન્હામાં સંડોવાયેલા આરોપીને અદાલતે આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.
જામનગર માં વર્ષ 2016માં હેભાભાઈ નામનાં યુવાન ની હત્યા કરવા અંગે ગુન્હામાં પોલીસે વેજાણંદ કરણાભાઈ ગોજીયા નામના શખ્સની ધરપકડ કરી હતી. જે દિવસે આ બનાવ બન્યો તે દિવસ-તા.19-2-16ના દિવસે આરોપી નાં ભત્રીજા ભીમશી માલદેભાઈ ગોજીયા ને દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.49માં રોકી લૂંટી લેવાયાની ફરિયાદ પોલીસમાં થઈ હતી. જે અંગે બંને વચ્ચે મનદુઃખ ચાલતું હતું. જેનો ખાર રાખીને આ હત્યા નિપજાવી હતી.
તે પછી હેભાભાઈ નામના યુવાન ગઈ તા.1-11-2016ના દિને બાઈક પર પોતાની ફાયનાન્સની ઓફિસ તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેઓને રોકીને છરી વડે હુમલો કરાયો હતો. જેમાં હેભાભાઈની હત્યા થઈ ગઈ હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપી વેજનંદની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ ચાલી જતાં સેશન્સ જજ એસ કે બક્ષી એ મદદનીશ જિલ્લા સરકારી વકીલ દીપકભાઈ આર ત્રિવેદી અને મૂળ ફરિયાદી તરફે વકીલ વી એચ કનારા ની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી વેજાણંદ કરણાભાઈ ને હત્યાના આ ગુન્હામાં આજીવન કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યા છે.