જામજોધપુરના સીદસરમાં રવિવારે સામાજિક સંમેલનમાં મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહેશે
- ઉમિયા માતાજીના મંદિરે ત્રિદિવસીય 'બિલ્વપત્ર' કાર્યક્રમનો ગઈકાલથી થયો પ્રારંભ
જામનગર,તા.30 સપ્ટેમ્બર 2023,શનિવાર
જામજોધપુર તાલુકાના સીદસરમાં શ્રી ઉમિયા માતાજી મંદિરમાં તા.29 અને 30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર એમ ત્રણ દિવસના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.1 ના કાર્યક્રમમાં મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રી ઉપસ્થિત રહેનાર છે.
ઉમિયા માતાજીના સીદસરમાં પ્રાગટ્યના 125 વર્ષ નિમિત્તે તા.29 ના બિલ્વપત્ર કાર્યક્રમનું આયોજન થયું છે. જેમાં સવારે 8 વાગ્યે યજ્ઞપૂજા, પૂજન-અર્ચના-દર્શન પછી સાડા આઠ વાગ્યે વેણું નદીના પૂર્વ કિનારે 30 વીઘા જમીનમાં ઉમા વાટિકાના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં મુખ્ય દાતા તરીકે વિજયાબેન, જીવનભાઈ ગોરધનભાઈ ગોવાણી પરિવાર (રાજકોટ, મુંબઈ, અમેરિકા) રહ્યા હતાં.
તા.30 અને શનિવારના મહિલા સંગઠન દ્વારા સવારે 8 વાગ્યે રાસ-ગરબા સ્પર્ધાઓ અને બપોરે બે વાગ્યે મહિલા સંમેલનનું આયોજન થયું છે. જેમાં મુખ્ય વક્તા તરીકે જય વસાવડા રહેશે. આ સાથે ત્રણેય દિવસ માટે મહિલા ઉત્પાદકો, મહિલા વેપારીઓ દ્વારા વેંચાણ સ્ટોલ ની સુવિધા રહેશે.
તા.01-10-2023 ના સમગ્ર ગુજરાતમાંથી 125 કાર રેલી (દરેક રેલીમાં 51 કાર) યોજાશે. અને સવારે 10 થી 12 વચ્ચે કાર રેલી સિદસરના ઉમીયાધામ પહોંચશે. આ પછી બપોરે બે વાગ્યે સામાજિક સંમેલન યોજાશે. તેમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરૂષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહેશે. જ્યારે સમારોહના ઉદ્ઘાટક તરીકે મુખ્ય દાતા ઉમિયાધામ સિદસર-ફેસ-2 ના જીવનભાઈ ગોરધનભાઈ ગોવાણી રહેશે.