જામનગરના પ્રૌઢની આત્મહત્યાના કેસમાં ચોકાવનારો ખુલાસો : દંપત્તિના ત્રાસ અને પૈસા પડાવી લીધા હોવાથી આપઘાત કરી લીધાનું ખુલ્યું

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
જામનગરના પ્રૌઢની આત્મહત્યાના કેસમાં ચોકાવનારો ખુલાસો : દંપત્તિના ત્રાસ અને પૈસા પડાવી લીધા હોવાથી આપઘાત કરી લીધાનું ખુલ્યું 1 - image


Jamnagar Suicide Case : જામનગરના સોનલ નગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતા એક પ્રોઢે તાજેતરમાં જામનગર નજીક મોરકંડા ગામે આત્મહત્યા કરી લીધી હતી. જે પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતકે લખેલી પાંચ પાનાની સુસાઇડ નોટના આધારે ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા એક દંપત્તિના ત્રાસને કારણે અને પૈસા પડાવી લીધા હોવાથી આત્મહત્યા કરી લીધાનું જાહેર થયું છે, અને પોલીસે મૃતક પ્રૌઢને આત્મહત્યા કરવા માટેની દુષપ્રેરણા આપવા બાબતે દંપત્તિ સામે ગુન્હો નોંધ્યો છે.

આ ચકચાર જનક બનાવવાની વિગત એવી છે કે જામનગરના ખોડીયાર કોલોની નજીક સોનલ નગરમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા કાનજીભાઈ સોઢા નામના 52 વર્ષના પ્રોઢ ગત 17.6.2024 ના રોજ પોતાના ઘેરથી નીકળી જઇ મોરકંડા ગામ નજીક ઈલેક્ટ્રીકના બે પોલની વચ્ચે દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. કાનજીભાઈના પુત્ર નિલેશ સોઢા કે જેને મૃતકના ખિસ્સામાંથી પાંચ પાનાની સુસાઇડનોટ મળી આવી હતી. જે પોલીસ સમક્ષ રજૂ કરી હતી.

તેમાં જાહેર કરાયા અનુસાર મૃતક કાનજીભાઈ કે જેઓએ જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા સુરેન્દ્રસિંહ બાલુભા સોઢા અને રસીલાબા સુરેન્દ્રનગરના મકાનનું કામ કર્યું હતું, જેના 95,730 લેવાના બાકી હતા. આ ઉપરાંત મૃતક કાનજીભાઈને ફોસલાવીને ઉપરોક્ત દંપતીએ રૂપિયા સાડા ચાર લાખ પડાવી લીધા હતા. જે તમામ રકમની માંગણી કરવા જતાં દંપતિએ પૈસા આપ્યા ન હતા, અને કાનજીભાઈ ને માર માર્યો હતો. તેથી તેઓ પોતાના ઘેર પરત આવ્યા પછી ગુમસુમ બની ગયા હતા, અને ત્યારબાદ 17મી તારીખે પોતાનું ઘર છોડીને મોરકંડા ગામે જઈ આપઘાત કરી લીધો હતો.

સિટી એ. ડિવિઝન પોલીસે મૃતક કાનજીભાઈના પુત્ર નિલેશ સોઢાની ફરિયાદના આધારે ખોડીયાર કોલોની વિસ્તારના દંપત્તિ સુરેન્દ્રસિંહ બાલુભા સોઢા અને રસીલાબા સુરેન્દ્રસિંહ સોઢા સામે દુષપ્રેરણાં અંગેની કલમ 306 અને 114 મુજબ ગુન્હો નોંધ્યો છે. આ બનાવને લઈને ખોડીયાર કોલોની વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે.


Google NewsGoogle News