જામનગરમાં ભાજપ દ્વારા 'મારી માટી મારો દેશ' અંતર્ગત શહીદ વીર રમેશભાઈ જોગલના નિવાસ્થાનેથી 'અમૃત કળશ યાત્રા' નો પ્રારંભ કરાયો
- જામનગરના 79 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય, મેયર, શહેર ભાજપ અધ્યક્ષ સહિતના અગ્રણીઓ દ્વારા પ્રત્યેક નાગરીકોના ઘેર થી માટી અને ચોખા એકત્રિત કરાયા
જામનગર,તા.06 ઓક્ટોબર 2023,શુક્રવાર
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા 'મારી માટી મારો દેશ' કાર્યક્રમ અંતર્ગત આજથી 'અમૃત કળશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, અને જામનગર 79 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય, મેયર, શહેર ભાજપના અધ્યક્ષ તેમજ શહેર ભાજપના અનેક અગ્રણી કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં શહીદ વીર રમેશભાઈ જોગલના નિવાસ્થાનેથી માટી અને ચોખા એકત્ર કરી અમૃત કળશ યાત્રાના પ્રારંભ કરાયો છે. જેમાં નગરજનોએ પણ ઉત્સાહભેર જોડાઈને પોતાના ઘરમાંથી માટી તેમજ ચપટી ચોખા એકત્ર કરીને કળશમાં મૂક્યા છે.
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા 'મારી માટી મારો દેશ' કાર્યક્રમ અંતર્ગત આજે સવારથી કળશ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જામનગરના 79 વિધાનસભા વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર શેરી નંબર-3 માં શહીદ વીર રમેશભાઈ જોગલના નિવાસ્થાનેથી આ કળશયાત્રાનો પ્રારંભ થયો હતો, અને જામનગરના 79 વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા સ્વ.રમેશભાઈ જોગલના નિવાસ્થાને તેમના પરિવારજનો પાસેથી તુલસી ક્યારામાંથી એકત્રિત કરેલી માટી તેમજ ચપટી ચોખા વગેરે એક કળશમાં એકત્ર કરાયા હતા, અને આ કળશ યાત્રાનો શુભારંભ કરાયો હતો.
જેમાં નગરના મેયર વિનોદ ખીમસુરીયા, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો.વિમલ કગથરા, જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, દંડક કેતન નાખવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા, ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠનના અન્ય હોદ્દેદારો, 79 વિધાનસભા વિસ્તારના કોર્પોરેટરો, મહિલા મોરચાના પ્રમુખ રીટાબેન જોટંગિયા તથા અન્ય હોદ્દેદારો-કાર્યકરો વગેરે બહોળી સંખ્યામાં જોડાયા હતા, અને પ્રત્યેક નાગરિકોના ઘેર ઘેર માટી અને ચોખા એકત્ર કરીને કળશ યાત્રાનો પ્રારંભ કરાયો હતો. જેમાં સૌ નગર જનોએ પણ ભારે ઉત્સાહ દાખવ્યો છે.