જામનગરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં રસ્તે રઝળતા કૂતરાએ બાઈક ચાલકનો ભોગ લીધો
image : Freepik
- બાઈક પર પસાર થઈ રહેલા એક યુવાન પાછળ કૂતરા દોડતાં ફૂલ સ્પીડમાં ચલાવેલું બાઈક સ્લીપ થઈ જવાથી તેના ચાલકનું ગંભીર ઇજા થયા પછી અપમૃત્યુ થયું છે.
જામનગર,તા.30 ઓક્ટોબર 2023,સોમવાર
જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા એક યુવાનનું વાલ્કેશ્વરી વિસ્તારમાં પોતાના બાઇક પાછળ પડેલા કૂતરાંને કારણે સ્પીડમાં બાઈક ચલાવતાં નીચે પટકાઇ પડ્યા પછી માથામાં ગંભીર થતાં મૃત્યુ નીપજયુ છે.
જામનગરમાં રામેશ્વર નગર શેરી નંબર 2 ના છેડે નવજીવન સોસાયટીમાં રહેતા જયદીપસિંહ રતનસિંહ રાઠોડ નામના 42 વર્ષના યુવાન ગત તા.27-10-2023 ના 1.30 વાગ્યાના અરસામાં વાલકેશ્વરી નગરી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન તેઓના બાઈકની પાછળ કુતરા દોડ્યા હતા. જેનાથી બચવા માટે તેઓએ પોતાનું બાઈક ફૂલ સ્પીડમાં ચલાવ્યું હતું.
દરમિયાન સ્પીડ બ્રેકર આવી જતાં બાઈક સ્લીપ થયું હતું, અને જયદીપસિંહ રાઠોડને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા પછી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના ભાઈ મયુરસિંહ રતનસિંહ રાઠોડએ પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.