જામનગર નજીક દરેડ વિસ્તારમાં કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક ચાલકનું ગંભીર ઈજા થવાથી કમકમાટીભર્યું મૃત્યુ
image : Freepik
જામનગર,તા.24 જાન્યુઆરી 2024,બુધવાર
જામનગર નજીક દરેડ વિસ્તારમાં પુરઝડપે આવી રહેલી એક કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં બાઈકના ચાલક જામનગરના આધેડનું ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નિપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ વિસ્તારમાં પરમ પાર્કની સામેના ભાગમાંથી પસાર થઈ રહેલા જી.જે.10- ડી.એચ. 925 નંબરના જયુપીટર મોટરસાયકલ ચાલકને પાછળથી પુરઝડપે આવી રહેલી જી.જે. -10 બી.જી. 7877 નંબરની ફોર્ડ ફિગો કારના ચાલકે ઠોકરે ચડાવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં બાઈકના ચાલક જામનગરમાં માધવબાગ વિસ્તારમાં રહેતા મનોજભાઈ દલસાણીયા (ઉંમર વર્ષ 52) નું માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે જામનગરમાં માધવબાગ વિસ્તારમાં રહેતા મૃતકના પુત્ર માનવભાઈ મનોજભાઈ દલસાણીયાએ પોલીસને જાણ કરતા, પંચકોષી બી. ડિવિઝન ના પી.એસ.આઇ. એમ.વી. મોઢવાડિયા ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે કારના ચાલક સામે ગુનો નોંધી કારચાલક ભાગી છૂટ્યો હોવાથી તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.