જામગનગરમાં જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, 3 જળાશાયોમાં નવા નીર આવક

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
jamnagar-dam


Jamnagar Rain : જામનગર શહેર અને જિલ્લામાં ચાર દિવસના વિરામ બાદ મંગળવારે સવારથી મેઘરાજાની પધરામણી થઈ હતી, અને સાર્વત્રિક અડધાથી 3 ઇંચ વરસાદ પડી ગયાના વાવડ મળ્યા છે. જેના કારણે નાના તળાવો ચેકડેમોમાં પાણી ભરાયા છે, ઉપરાંત ત્રણ મોટા જળાશયોમાં પણ નવા પાણીની આવક થઈ છે. જોકે આજે મેઘરાજાએ ફરી વિરામ રાખ્યો છે.

જામનગર શહેરમાં ગઈકાલે સવારથી જ વરસાદી વાતાવરણ બનેલું હતું, અને સમગ્ર દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસ્યા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 21 મી.મી. વરસાદ પડી ગયો હતો. 

આ ઉપરાંત જોડિયામાં 32 મી.મી., ધ્રોલમાં 16 મી.મી., કાલાવડમાં 14 મી. મી., લાલપુરમાં 37 મી.મી. તેમજ જામજોધપુરમાં 43 મી.મી. વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત જામનગરના ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં ગઈકાલે ધોધમાર 87 મી.મી. વરસાદ પડી ગયો હતો, જેના કારણે નદીનાળામાં પૂર આવ્યા હતા.

જોડીયા તાલુકાના હડીયાણામાં છેલ્લા 24 કલાક દરમિયાન 74 મી.મી. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કાલાવડ તાલુકાના નિકાવામાં 60 મી.મી., જોડીયા તાલુકાના બાલંભામાં 35 મી.મી., જામનગર તાલુકાના મોટી બાણુંગાર ગામમાં 50 મી.મી. કાલાવડ નજીક ભલસાણ બેરાજા ગામમાં 55 મી.મી., જામજોધપુરના શેઠ વડાળા ગામમાં 66 મી.મી., વાંસઝાળિયામાં 46 મી.મી., ધ્રાફામાં 60 મી.મી. વરસાદ નોંધાયો છે.

જામનગર શહેરના પાણી પૂરું પાડતા સસોઇ ડેમમાં નવા દોઢ ફૂટ પાણીની આવક થઇ છે, તે ઉપરાંત જામજોધપુર અને કાલાવડ પંથકના બે ડેમમાં પણ નવા નીર આવ્યા છે. આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે, અને ઉઘાડ નીકળી ગયો છે. અને સમગ્ર જિલ્લામાં ક્યાંય વરસાદ નોંધાયો નથી.


Google NewsGoogle News