કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામના 11 વર્ષના કિશોરનું પાણીના ખાડામાં ડૂબી જતાં અપમૃત્યુ
Image Source: Freepik
જામનગર, તા. 01 ઓક્ટોબર 2023, રવિવાર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામમાં રહેતા 11 વર્ષના બાળકનું પાણીના ખાડામાં નાહવા માટે પડ્યા પછી ડૂબી જતાં અપમૃત્યુ થયું છે.
આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામમાં રહેતા રાજેશભાઈ કારાભાઈ પરમાર નો 11 વર્ષનો પુત્ર અક્ષિત કે જે ગઈકાલે રમતાં રમતાં દાણીધાર જવાના રસ્તે દિલીપભાઈ પટેલ ની વાડી ની બાજુમાં આવેલા પાણીના ખાડામાં નાહવા માટે પડ્યો હતો, ત્યાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાના કારણે ડૂબી જતાં તેનું કરૂણ મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે રાજેશભાઈ પરમારે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે બાળકના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.