જામનગર શહેરમાં શનિવારે કોરોના વિસ્ફોટની સાથે મ્યુકોરમાઈસિસના દર્દી માટે પણ માઠા સમાચાર

- જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં દાખલ થયેલા મ્યુકોર્માઇકોસિસની બીમારીના વધુ એક મહિલા દર્દીનું મૃત્યુ

- જામનગર શહેર અને જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા અત્યાર સુધીમાં સાડા નવ લાખથી વધુ કોવિડ ટેસ્ટ કરાવાયા

Updated: Oct 31st, 2021


Google NewsGoogle News
જામનગર શહેરમાં શનિવારે કોરોના વિસ્ફોટની સાથે મ્યુકોરમાઈસિસના દર્દી માટે પણ માઠા સમાચાર 1 - image


જામનગર, તા. 31 ઓક્ટોબર 2021 રવિવાર

જામનગરના શહેરી વિસ્તારમાં શનિવારે સાંજે કોરોના વિસ્ફોટ થયો હતો, અને એક ખાનગી તબીબ પરિવારના પાંચ સભ્યો ના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હોવાથી ફફડાટ મચી ગયો છે, જેની સાથે સાથે શનિવારે સાંજે મ્યુકોર્માઇકોસિસ ની બીમારી ના વધુ એક દર્દીનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે. જેથી શહેરમાં લોકોએ ખૂબ જ સાવધ રહેવું જરૂરી છે. જોકે મૃતક મહિલા બી.પી.- ડાયાબિટીસ સહિતની અન્ય બીમારીઓથી પીડાતા હતા. જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અત્યાર સુધીમાં સાડા નવ લાખ થી વધુ કોવિડ ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે.

જામનગર જિલ્લામાં કોરોના શાંત પડયા પછી શનિવારે એકાએક કોરોના વિસ્ફોટ થયો હતો, અને એક ખાનગી તબીબ ના પરિવારની પાંચ વ્યક્તિ કોરોના ગ્રસ્ત બની હોવાના રિપોર્ટ મળ્યા હતા. જે પૈકી તબીબ ના પિતા જી.જી.હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં સારવાર મેળવી રહ્યા છે, અને હાલ એક માત્ર દર્દી કોરોના ની સારવાર હેઠળ છે. પરંતુ એક જ પરિવારના સભ્યોના કોરોનાગ્રસ્ત બન્યા ના રિપોર્ટ મળતાં જામનગર શહેરમાં ડરનો માહોલ ઉભો થયો છે, અને લોકોએ સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.

ઉપરાંત મ્યુકોર્માઇકોસિસ ની બીમારી ના દર્દી માટે પણ માઠા સમાચાર આવ્યા છે. જામનગર શહેરના વતની એવા 56 વર્ષીય મહિલા કે જેઓને આજથી એક સપ્તાહ પહેલા મ્યુકોર્માઇકોસિસ ની બીમારી ની સારવાર માટે જી.જી. હોસ્પિટલ ના ઇ.એન્ડ.ટી. વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેઓનું ગઈકાલે સાંજે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.

જેઓ બી.પી. ડાયાબિટીસ સહિતની અન્ય બીમારીઓથી પણ પીડાતા હતા, અને તે બીમારીના કારણે વધુ પડતી તબિયત લથડી હતી. દરમિયાન ગઈકાલે તેઓએ દમ તોડયો છે. હાલ ઇ.એન્ડ.ટી. વિભાગમાં મ્યુકોર્માઇકોસિસના એક મહિલા તથા એક પુરુષ સહિત બે દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે..

જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 5,52,855 કોવિડ ટેસ્ટ કરી લેવામાં આવ્યા છે. તે જ રીતે જામનગર જિલ્લા પંચાયત ની આરોગ્ય શાખા દ્વારા 4,03,810 કોવિડ ટેસ્ટ કરાયા છે, અને સમગ્ર જિલ્લામાં કુલ 9,56,665 કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે.


Google NewsGoogle News