જામનગરમાં નાનકપુરી વિસ્તારમાં આવેલા વોટર પ્લાન્ટમાં અકસ્માતે શોર્ટ સર્કીટથી આગ : ફાયરે આગ બુઝાવી
Fire Incident in Jamnagar : જામનગરમાં નાનકપુરી વિસ્તારમાં આવેલા એક વોટર પ્લાન્ટમાં મોડી રાત્રે અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી જેથી ભારે દોડધામ થઈ હતી. ફાયર બ્રિગેડની ટીમેં દોડી જઈ સમયસર આગને કાબુમાં લઈ લેતાં સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.
આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નાનકપુરી રોડ પર રામનાથ કોલોની શેરી નંબર-2ના ખૂણા પાસે આવેલા શ્રી વોટર નામના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ગઈ રાત્રે 2 વાગ્યાને 55 મિનિટે અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. અને આસપાસના વિસ્તારમાં આગના લબકારા દેખાયા હતા. આ બનાવ અંગે આડોશી પાડોશીઓને ધ્યાન પડી જતાં તુરતજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડની ટુકડી તાબડતોબ ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે સમયસર આગને કાબુમાં લઈ લેતાં આસપાસના વિસ્તારના લોકોએ હાથકારો અનુભવ્યો હતો. આગના કારણે ફિલ્ટર પ્લાન્ટની અંદર રાખવામાં આવેલા પ્લાસ્ટિકના પાણીના જગ સહિતની સામગ્રી સળગી ઊઠી હતી.