જામનગરના સિક્કામાં રહેતા યુવાનને પોતાના ઘેર માથાનો દુ:ખાવો અને ચક્કર તેમજ આંચકી આવતાં અપમૃત્યુ

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
જામનગરના સિક્કામાં રહેતા યુવાનને પોતાના ઘેર માથાનો દુ:ખાવો અને ચક્કર તેમજ આંચકી આવતાં અપમૃત્યુ 1 - image


- આજથી છ મહિના પહેલાં મારામારીમાં માથામાં હેમરેજ સહિતની ઇજા થયા પછી સતત માથામાં દુ:ખાવો રહેતો હતો

જામનગર,તા.05 ફેબ્રુઆરી 2024,સોમવાર

જામનગર તાલુકાના સિક્કામાં રહેતા એક યુવાનને આજથી છ મહિના પહેલાં મારામારીમાં હેમરેજ સહિતની ઈજા થયા પછી પોતાના ઘેર વારંવાર માથાનો દુ:ખાવો રહેતો હતો, અને ચક્કર અને આંચકી આવતાં મૃત્યુ નીપજયું છે. સમગ્ર મામલે સિક્કા પોલીસ વધુ તપાસ ચલાવે છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કામાં પંચવટી સોસાયટીમાં રહેતા ધર્મરાજસિંહ નટુભા કંચવા નામના 34 વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘેર માથાનો દુ:ખાવો થયા પછી એકાએક ચક્કર આવવા લાગ્યા હતા, તેમજ આંચકીઓ ઉપડતાં તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે.

 આ બનાવ અંગે મૃતકના સંબંધી ભગીરથસિંહ ભુપતસિંહ કંચવાએ પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

 પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનને આજથી છ માસ પહેલાં ગત તારીખ 4.8.2023 ના દિવસે મારામારીમાં માથાના ભાગે હેમરેજ સહિતની ઈજા થઈ હતી, અને તેની અવારનવાર સારવાર ચાલતી હતી. દરમિયાન ગઈકાલે બેશુદ્ધ બન્યા પછી તેનું મૃત્યુ નીપજ્યું છે. સિક્કા પોલીસ આ બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહી છે.


Google NewsGoogle News