જામનગરની આયુર્વેદ હોસ્પિટલમાં મજુરી કામ કરી રહેલા શ્રમિક યુવાનનું વિજ આંચકો લાગતાં અપમૃત્યુ
જામનગર,તા.19 ઓક્ટોબર 2023,ગુરૂવાર
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામનગરમાં રહેતા શ્રમિક યુવાનને આયુર્વેદ હોસ્પિટલમાં મજૂરી કામ દરમિયાન વીજ આંચકો લાગવાના કારણે અપમૃત્યુ થયું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપૂરના વતની અને હાલ જામનગરમાં ત્રિમંદિર પાસે રહેતા જંગલીયા ઉર્ફે જગો નુરુ ડાવર નામના 19 વર્ષના પર પ્રાંતિય શ્રમિક યુવાનને આયુર્વેદિક હોસ્પિટલમાં મજૂરી કામ દરમિયાન વિજ આંચકો લાગ્યો હતો, જેથી તેને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનો મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે જયેશભાઈ જયસુખભાઈ કાચાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન પોલિસે મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને આ વીજ અકસ્માતના બનાવ અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.