જામનગરના બેડ પાસે એક બાંધકામના સ્થળે કામ કરી રહેલા શ્રમિક યુવાનને વીજ આંચકો લાગતાં અપમૃત્યુ
જામનગર,તા.26 સપ્ટેમ્બર 2023,મંગળવાર
જામનગર તાલુકાના બેડ ગામમાં એક પેટ્રોલ પંપ પાસે ચાલી રહેલા નવા બાંધકામના સ્થળે મજૂરી કામ કરી રહેલા એક શ્રમિક યુવાનનું વીજ આંચકો લાગવાના કારણે અપમૃત્યુ થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબ નગર નજીક ત્રિમંદિર પાસે ઝુપડપટ્ટીમાં રહેતા પૂનમસિંગ ઇજુભાઈ વસુનીયા નામનો 42 વર્ષનો પરપ્રાંતિય શ્રમિક યુવાન બેડ નજીક ટોલનાકા પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક બંધાઈ રહેલા નવા બાંધકામના સ્થળ પર મજૂરી કામ કરી રહ્યો હતો.
જે દરમિયાન મિલર મશીનના લાઈટના વાયરને અડી જવાથી તેને વિજઆંચકો લાગ્યો હતો, અને સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર જાનુ પૂનમસિંગ વસુનિયાએ પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.