જામનગર જીલ્લામાં પાવરચોરીના કેસમાં સૌ પ્રથમવાર આરોપીને તકસીરવાન ઠરાવતી સ્પેશયલ કોર્ટ

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
જામનગર જીલ્લામાં પાવરચોરીના કેસમાં સૌ પ્રથમવાર આરોપીને તકસીરવાન ઠરાવતી સ્પેશયલ કોર્ટ 1 - image

જામનગર,તા.18 માર્ચ 2024,સોમવાર

જામનગરમાં વિજ ચોરીના કેસમાં મહિલાને તકસિરવાન ઠરાવી અદાલતે વીજ બિલની રકમ 30 દિવસમાં જમાં કરાવવા આદેશ કર્યો છે.

જામનગરમાં નગરસીમ સબ ડીવીઝન હેઠળ આવતા લાલવાડી વિસ્તારમાં પી.જી.વી.સી.એલ.ની ચેકીંગ સ્કવોર્ડ ધ્વારા ગત તા.24/12/21 ના ચેકીંગ કાર્યવાહી હાથ ધરતા આરોહી ગ્રીન્સ લાલવાડી વિસ્તારમાં રહેતા માલાબેન પરેશભાઈ ઝાલાને ત્યાં ચેકીંગ કરતાં તેઓ પી.જી.વી.સી.એલ. કંપનીનું કાયદેસરનું વિજજોડાણ ધરાવતા ન હોવા છતાં ડાયરેકટ પાવરચોરી કરતાં પકડાયા હતા. જેથી કાયદેસરની કાર્યવાહી કરી માલાબેન પરેશભાઈ ઝાલાને રૂા.1,26,907 નું પાવરચોરીનું પુરવણી બીલ નગરસીમ સબ ડીવીઝન ધ્વારા આપવામાં આવ્યું  હતુ. અને જેનો કેસ ઈન્ડીયન ઈલેકટ્રીસીટીની એકટની કલમ અન્વયે જી.યુ.વી.એન.એલ. પોલીસ સ્ટેશનમાં માલાબને પરેશભાઈ ઝાલા વિરૂધ્ધ એફ.આઈ.આર. નોંધી અને ચાર્જશીટ કરવામાં આવેલ હતુ.

ત્યારબાદ આ કેસ સ્પેશ્યલ કોર્ટમાં ચાલવા પર આવતા પ્રોસી. ધ્વારા સાહેદ તપાસવામાં આવેલ તેમજ 24 જેટલા દસ્તાવેજી પુરાવા રજુ કરવામાં આવેલ.જે કેસ ચાલી જતાં સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે વસીયર દ્વારા દલીલો કરવામાં આવેલ કે હાલ પાવરચોરીની બનાવો દિનપ્રતિદિન વધતા જાય છે તેમજ સમાજને અસર કરે તેવો ગુન્હો છે. જેથી સખ્ત સજા કરવા અંગે દલીલ કરતાં આરોપી પક્ષ ધ્વારા વિધવા બાઈ છે નાના છોકરાઓ છે જેથી ઓછી સજા કરવા અંગેની દલીલો કરતાં સ્પેશ્યલ કોર્ટ ધ્વારા આરોપી માલાબેન પરેશભાઈ ઝાલાને ભવિષ્યમાં ગેરકાયદેસર વિજવપરાશ કરવો નહી તે અંગેનું બોન્ડ આપવા તથા દિવસ 30 માં પી.જી.વી.સી.એલ. રૂા.1,26,907  ભરપાઈ કરી આપવા હુકમ કરેલ છે. ઉપરોકત કેસમાં સરકાર વતી સરકારી વકીલ રાજેશ કે વસીયર ઉપસ્થિત રહ્યા હતા.


Google NewsGoogle News