જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર સોયલ ટોલ નાકા નજીક કારચાલકે રિક્ષાને ઠોકર મારતાં મુસાફર ઘવાયો
જામનગર,તા.25 ઓક્ટોબર 2023,બુધવાર
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર સોયલ ટોલનાકા નજીક કારના ચાલકે રિક્ષાને ઠોકર મારતાં રિક્ષામાં બેઠેલા એક પેસેન્જરને અસ્થિભંગ સહિતની ઈજા થઈ હોવાની ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
અકસ્માત સજર્યા બાદ કારનો ચાલક ઈજાગ્રસ્તે હોસ્પિટલ સુધી લઈ જવાને બદલે કાર લઈને ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધીને તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ બનાવની વિગત એવી છે કે ફલ્લા ગામના રમેશભાઈ વિરાભાઈ રાઠોડ ગત તા.16-10 ના રોજ ધ્રોલથી ફલ્લા જવા માટે સી.એન.જી. રિક્ષા નં. જીજે-10-ટી.ઝેડ-૦૭૯૧માં બેસીને આવતાં હતા, ત્યારે સોયલ ટોલ નાકાથી આગળ પહોંચતાં પાછળથી પુરઝડપે આવી રહેલી કાર નં. જીજે-07-ડીડી-3678 ના ચાલકે ઠોકર મારતાં તેને જમણા પગમાં અસ્થિભંગની ઈજાઓ થઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.