જામજોધપુરના સમાણામાં રહેતી એક પરણીતાએ સાસરિયાઓના ત્રાસના કારણે કેરોસીન પીધું : સારવાર હેઠળ

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
જામજોધપુરના સમાણામાં રહેતી એક પરણીતાએ સાસરિયાઓના ત્રાસના કારણે કેરોસીન પીધું : સારવાર હેઠળ 1 - image


- પોલીસે પતિ, સાસુ, સસરા સહિતના 6 સાસરિયાઓ સામે સ્ત્રી અત્યાચારધારા હેઠળ ગુનો નોંધ્યો

જામનગર,તા.27 ડિસેમ્બર 2023,બુધવાર

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતી એક પરણીતાએ પોતાના સાસરિયાઓના ત્રાસના કારણે કંટાળી જઈ કેરોસીન પી લીધું હતું, જેથી તેણીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે પોલીસે પતિ-સાસુ-સસરા સહિતના છ સાસરિયાઓ સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતી મીનાબેન દાનાભાઈ વાઘેલા નામની 30 વર્ષની પરણિત યુવતિને તેણીના સાસરિયાઓ મારકુટ કરી ત્રાસ ગુજારતાં સાસરીયાઓના ત્રાસના કારણે તેણીએ કેરોસીન પી લીધું હતું, તેથી તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ બનાવવાની જાણ થતાં શેઠવડાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બનાવના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયો હતો, અને મીનાબેનનું નિવેદન નોંધ્યું હતું.

જે નિવેદનમાં જણાવ્યા અનુસાર મીનાબેનને પુત્રી મોબાઈલમાં લેસન કરતી હતી, અને રાત્રિના સમયે મોબાઈલ ઓશિકા નીચે રાખીને સૂઈ ગઈ હતી. બીજા દિવસે સવારે મોબાઈલ નહિ મળતાં મીનાબેને પોતાને ખબર ન હોવાનું જણાવતાં પતિ તથા શ્વસુર પક્ષના સભ્ય ઉસ્કેરાયા હતા, અને મારકુટ કરી ત્રાસ ગુજાર્યો હતો.

જેથી તેણીને મનમાં લાગી આવતાં કેરોસીન પી લીધું હતું. આ બનાવ પછી પોલીસે મીનાબેનની ફરિયાદના આધારે પોતાના સાસરીયાઓ લલિતભાઈ મૂળજીભાઈ ચાવડા, ઉપરાંત દેવકીબેન મૂળજીભાઈ ચાવડા, મનીષ મૂળજીભાઈ ચાવડા, શારદાબેન મનીષભાઈ ચાવડા, બાબુભાઈ મૂળજીભાઈ ચાવડા, અને રેખાબેન બાબુભાઈ ચાવડા સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુન્હો નોંધ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News