ધ્રોલમાં રહેતા શ્રમિક યુવાનને પત્ની સાથે જમવા વખતે ઝઘડો થતાં માઠું લાગવાથી ગળાફાંસા દ્વારા આપઘાત
જામનગર,તા.18 ઓક્ટોબર 2023,બુધવાર
જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતા એક શ્રમિક યુવાને પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જમવા બાબતે પત્ની સાથે ઝઘડો થયા પછી આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે, કે ધ્રોળમાં તાલુકા પંચાયત પાછળ રહેતા સામતભાઈ વિનુભાઈ મકવાણા નામના 26 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર રસોડામાં લુંગી વડે ગળાફાંસો ખાઈ લેતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે ભુપતભાઈ રણછોડભાઈ મકવાણાએ પોલીસને જાણ કરતાં ધ્રોળ પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતકને તેની પત્ની સાથે જમવા બાબતે બોલાચાલી થઈ હતી, જેનું મન દુઃખ રાખીને આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવ્યું છે. ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવે છે.