જામજોધપુરના સમાણા ગામમાં રહેતા અનાજ કરિયાણાના વેપારી પર થુંકવાની બાબતમાં હુમલો
image : Freepik
Jamnagar Crime News : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણાં ગામના અનાજ કરિયાણાના વેપારી ઉપર પાનની પિચકારી મારવાના પ્રશ્ને તે જ ગામના એક શખ્સ તેમજ છોડાવવા માટે વચ્ચે પડેલી માતા અને બહેનને પણ માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
આ બનાવની વિગત એવી છે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં રહેતા અને અનાજ કરિયાણાની દુકાન ચલાવતા સિદ્ધાર્થ જેન્તીભાઈ ભરડવા નામના 22 વર્ષના વેપારી યુવાને પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે સમાણા ગામના વસીમ નાસીરભાઈ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન પોતાની દુકાનની સામે આવેલી પાનની દુકાને પાન ખાવા ગયો હતો, અને નજીકમાં થુંક્યો હતો. દરમિયાન આરોપીએ આવીને કહ્યું હતું કે તું મારી સામે જોઈને કેમ થુંકે છે, તેમ જણાવી હુમલો કરી દીધો હતો.
દરમિયાન વેપારી યુવાનની માતા સંગીતાબેન તેમજ બહેન માલવીકા કે જેઓ છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા, તે બંનેને પણ હુમલાખોરે માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે. જે સમગ્ર મામલે શેઠ વડાળાના એ.એસ.આઈ. તપાસ ચલાવે છે.