જામનગરના જોડીયા અને ધ્રોલ તાલુકાના 5,255 વિજ ગ્રાહકોએ વીજ બિલ 31 માર્ચ-2024 ભરપાઈ કરી દેતાં વીજતંત્રએ આભાર વ્યક્ત કર્યો

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
જામનગરના જોડીયા અને ધ્રોલ તાલુકાના 5,255 વિજ ગ્રાહકોએ વીજ બિલ 31 માર્ચ-2024 ભરપાઈ કરી દેતાં વીજતંત્રએ આભાર વ્યક્ત કર્યો 1 - image

જામનગર,તા.22 માર્ચ 2024,શુક્રવાર

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના 09 ગામ તેમજ ધ્રોલ તાલુકાના 01 ગામ સહિતના કુલ 10 ગામના વીજ ગ્રાહકોએ પોતાના 31 માર્ચ-2024 સુધીના વીજબિલના બાકીના નાણાં ભરપાઈ કરી દઈ અનુકરણીય પગલું ભર્યું છે, જેને લઈને વિજતંત્રએ દસેય ગામમાં વસવાટ કરતા વીજ ગ્રાહકોનો આભાર માન્યો છે. તેમજ આ ભાવનાથી પ્રેરાઈને અન્ય ગામના લોકો પણ સમયસર વીજબીલની રકમ ભરપાઇ કરી આપે તેવી તંત્ર આશા સેવી રહ્યું છે.

 જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળ આવતા જોડીયા પેટા વિભાગની કચેરીના તાલુકાના કાર્યક્ષેત્રમાં આવતા આણદાગામ, જસાપર, બાદનપર, ભાદરા, લીંબુડા, લખતર, વાઘા, રણજીતપર, અને માનપર તેમજ ધ્રોલ તાલુકાનું મજોઠ ગામ કે જે તમામ 10 ગામના કુલ 5,255 જેટલા વીજ ગ્રાહકોએ માર્ચ 2024 સુધીની વીજબિલની બાકી રોકાતી રકમ સંપૂર્ણ પણે ભરપાઈ કરી દેવામાં આવી છે.

દસેય ગામમાં વસવાટ કરતા ગ્રામજનોએ એવો નિર્ધાર કર્યો છે, કે પોતાની નૈતિક ફરજ સમજીને રાષ્ટ્રહિતમાં વીજબિલની સંપૂર્ણ રકમ ભરપાઇ કરી દેવી જોઈએ. જેથી આ અનુકારણીય પગલાને લઈને PGVCL ના અધિક્ષક ઇજનેર દ્વારા પૂરતા પ્રમાણમાં સાથ સહકાર આપવા બદલ તમામ વીજ ગ્રાહકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ દશેય ગ્રામજનોની ભાવનાથી પ્રેરાઈને જામનગર જિલ્લાના અન્ય ગામોમાં પણ પોતાના વીજ બિલની રકમ સમયસર ભરપાઈ કરી દેવામાં આવે, તેવી વિજતંત્ર દ્વારા આશા રાખવામાં આવી રહી છે.


Google NewsGoogle News